સુરતના ઉત્રાણ પાવર હાઉસના ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો છે. જે માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ ટાવર કડડભૂસ થઈ ગયો છે.
સુરતના ઉત્રાણ પાવર હાઉસનો કુલિંગ ટાવર ધ્વસ્ત
RCC કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટથી ધ્વસ્ત કરાયો
1993માં બનાવાયો હતો કુલિંગ ટાવર
સુરતના ઉત્રાણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આજે સવારે 11:00 વાગ્યે 85 મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો છે. આ ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેના 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે આ કુલિંગ ટાવર ધ્વસ્ત કરવા નિર્ણય લીધો હતો.
85 મીટર ઊંચા ટાવરનું ડિમોલિશન
સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે સવારે 11 વાગ્યે કુલિંગ ટાવરને ધ્યાસ્ત કરવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ વેળાએ આસપાસના રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા.
આધુનિક ટેક્નોલોજીનો કરાયો ઉપયોગ
કુલિંગ ટાવરને ધ્વસ્ત કરવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો છે. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી. કુલિંગ ટાવરમાં 72 પીલર આવેલા હતા. કુલિંગ ટાવરના પીલરમાં હોલ કરાયા હતા. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરાયા હતા. હોલની અંદર એક્સપ્લોઝિવને મુકી દેવાયા હતા.આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરાયો હતો.
કેમ ધ્વસ્ત કરાયો કુંલિંગ ટાવર?
કુલિંગ ટાવરના માટે એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ ટાવરને ધ્વસ્ત કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ ખાતે આવેલા કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવાયો હતો. કુલિંગ ટાવરના 2017માં 24 વર્ષ પૂર્ણ થયા હતા. જેથી કેન્દ્ર સરકારે આ કુલિંગ ટાવર ધ્વસ્ત કરવાનો નિર્ણય લીધો હતો.
પ્લાન્ટ 1993માં કાર્યરત થયો હતો
વર્ષ 1993માં બનાવવામાં આવેલ આ પ્લાન્ટમાં 135 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. વર્ષ 2017માં આ ટાવરના રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરીને આ પ્લાન્ટને ડિમોલિશ કરવાની પરવાનગી લેવામાં આવી હતી. સપ્ટેમ્બર 2021માં આ પ્લાન્ટના ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી. સર્વ પ્રથમ આ પ્લાન્ટમાંથી બોઇલરને દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વીજળી ઉત્પન્ન કરતા ટર્બાઇનને પણ દૂર કરવાની કામગીરી કરી દેવામાં આવી છે. હવે આ પ્લાન્ટનાં કુલિંગ ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો છે.