ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂના સમયગાળામાં વધારો થઇ શકે છે. સરકાર અન્ય નિયંત્રણોમાં ફેરફાર કરે તેવી સંભાવના નહિવત
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂમાં થઇ શકે છે વધારો
રાત્રે 10 થી સવારે 5 સુધી જાહેર કરી શકે કર્ફ્યૂ
કોરોનાના અન્ય નિયંત્રણોમાં ફેરફારની શક્યતા નહિવત
રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 4 હજારને પાર પહોંચ્યો છે. કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. જે જોતા હવે સાવચેત રહેવાની જરૂર છે. વધતા કેસને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત જોવા મળી રહી છે. જાણે કે લોકડાઉન આવશે તેવી વાતો વહેતી થઇ છે પંરતુ આ વાતમાં કોઇ સચ્ચાઇ નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરી શકે છે. જે હાલમાં રાત્રે 11થી સવારે 5 છે તેમાં ફેરફાર કરીને રાત્રિ કર્ફયૂનો સમય રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી રાખી શકે છે. હાલ રાજ્ય સરકાર કોરોનાના અન્ય નિયંત્રણોમાં કોઇ મોટા ફેરફાર કરે તેવી શક્યતા લાગી રહી નથી.
વેક્સિનેશનને ધ્યાને રાખી નવા નિયંત્રણો અમલી બનાવાશે
કોર કમિટી બાદ રાજ્યમાં નવા નિયંત્રણોની જાહેરાત થશે. વેક્સિનેશનને ધ્યાને રાખી નવા નિયંત્રણો અમલી બનાવાશે. વેક્સિનના બંને ડોઝ લેનારા લોકો માટે નિયંત્રણોમાં છૂટછાટ મળશે. વાણિજ્યિક એકમોમાં કેપેસિટી આધિન નિયંત્રણ લાદી શકાશે. 50 ટકા કેપેસિટી આધીન છૂટછાંટ આપવા વિચારણા ચાલી રહી છે.
ધો.1થી 5ના ઓફલાઇન વર્ગ થઇ શકે છે બંધ
રાજ્ય સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો પણ રદ કરાયા છે. ત્યારે શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ થઇ શકે છે..શરૂઆતી તબક્કામાં 1 થી 5 ધોરણના ઓફલાઇન વર્ગો બંધ થઇ શકે છે. વધતા કોરોના કેસોને લઇ રાત્રિ કફર્યૂમાં પણ વધારો થઇ શકે છે. હોટેલ, રેસ્ટોરાં અને લગ્ન જેવા પ્રસંગોને લઇને પણ નિયંત્રણ લાવવામાં આવી શકે છે. લગ્ન પ્રસંગોમાં લોકોની સંખ્યામાં પણ ઘટાડો કરાઇ શકે છે.
મંત્રી કનુ દેસાઈએ લોકડાઉનનો કર્યો ઈન્કાર
કોરોનાને લઈને સુરત તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કોરોનાને લઇ અધિકારીઓ સાથે બેઠક કરી. તેઓએ કહ્યું કે અત્યારે લોકડાઉન નહીં લગાવાય. સુરતમાં જે તૈયારી કરાઇ તેની સમીક્ષા કરવામાં આવી છે. હાલ બધા ઓક્સિજન પ્લાન્ટ ચાલું છે. અને હોસ્પિટલોમાં દવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આંશિક લોકડાઉન લગાવવાનો વિચાર નથી. શાળા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી
રાજ્યમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા અગાઉ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અઁગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કડક નિયમો લાગુ થઇ શકે
રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક છે પરંતુ 4 હજારથી પણ વધારે કેસો રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા છે. વધતા કેસને પગલે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો લાવી શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.તથા અમદાવાદ મનપા દ્વારા પણ ફલાવર શો તથા પતંગોત્સવ સહિતના જાહેર કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
મુખ્યમંત્રીએ 8 જિલ્લાના કલેકટર સાથે બેઠક કરી
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી તાબતોબ 8 જિલ્લાના કલેકટર સાથે CMની બેઠક કરી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના સંક્રમણને રોકવા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
સાડાચાર મહિના પછી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ
રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.
સરકારે વાઇબ્રન્ટ સમિટ, ફલાવર શો અને પતંગોત્સવ પણ મોકૂફ
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વધતા કોરોના સંક્રમણને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદે આગામી સમયમાં યોજાનાર સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં ગઇકાલે 4213 કેસ નોંધાયા
ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. ગઇકાલના 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. ગુરુવારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે. ગુરુવારે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.