બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 16 July 2024
અરવલ્લી જિલ્લાના મોડાસામાં જમણી સૂંઢના મનોકામના સિદ્ધિ વિનાયક ગણપતિ સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન છે. તેમને વર્ષોથી મોડાસાના શહેરના રક્ષક માનવામાં આવે છે. સમગ્ર ઉત્તરગુજરાતના એક માત્ર જમણી સુંઢના ગણપતિનું આ મંદિર છે, જે સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરતું હોવાની માન્યતા છે. .
ADVERTISEMENT
અઢીસો વર્ષથી પણ વધારે જુુનું મંદિર
અરવલ્લી જિલ્લાના વડુ મથક મોડાસા શહેરમાં ધુણાઈ રોડ પર આ પૌરાણિક સ્વયંભૂ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલું છે. ગણપતિનું આ મંદિર 250 થી વધુ વર્ષ જૂનું છે. હાલ જ્યાં મંદિર છે ત્યાં વર્ષો પહેલા જંગલ હતું. મોડાસા શહેરના નગરશેઠને માજુમ નદીના કિનારે એક ખેતરમાંથી જમણી સૂંઢના ગણપતિ ભગવાનની આ પ્રતિમા મળી હતી. નગરશેઠે ગણપતિની આ પ્રતિમાને મોડાસાના ધુણાઈ રોડ પર નાની ડેરી બનાવી બિરાજમાન કર્યા હતા. તે નાની ડેરી આજે વિશાળ મંદિર બની ચૂકી છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતમાં જમણી સૂંઢના ગણપતિનું એકમાત્ર મંદિર
જમણી સૂંઢના ગણપતિનું આ ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મંદિર હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ રહે છે. ભગવાન ગણપતિની અહીંની પ્રતિમા મુંબઇના સિદ્ધિવિનાયક મંદિર જેવી જ અલૌકિક છે. અહીં દર ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશ એમ દસ દિવસ સુધી ભગવાન ગણપતિનો ભવ્ય મહોત્સવ ઉજવાય છે. શહેરીજનો પોતાના દરેક કામની શરૂઆત કરતા પહેલા આ મંદિરે આવી સિદ્ધીવિનાયકના દર્શન અવશ્ય કરે છે.
ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ યજ્ઞનું આયોજન
ગણેશ મહોત્સવ દરમિયાન અહીં ગણેશ યજ્ઞ યોજવામાં આવે છે. જેમાં 1008 લાડુની અથર્વશીર્ષના સ્તોત્ર વડે આહુતિ આપવામાં આવે છે. યજ્ઞ દરમ્યાન ભગવાન ગણપતિનો દૂધ પંચામૃત તેમજ શેરડીના રસ વડે અભિષેક કરવામાં આવે છે. અને યજ્ઞ દરમ્યાન ભકતોની ભારે ભીડ જામે છે.
અંગારકી ચોથના દિવસે મહાપૂજા
અરવલ્લી જીલ્લામાં મોડાસાના સિદ્ધીવિનાયક મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા વર્ષ દરમ્યાન આવતી અંગારકી ચોથના દિવસે મહાપૂજા કરવામાં આવે છે. મંદિરના મહંત દ્વારા અંગારકી ચોથના દિવસે રાત્રે સંકટ નાશક ગણપતિ સ્તોત્ર વડે પૂજન, અર્ચન અને અભિષેક કરવામાં આવે છે. અને ગણેશ મહાયાગ પણ કરવામાં આવે છે. સાથે જ વેદના મંત્રો વડે ભૂદેવો દ્વારા સહસ્ત્ર મોદકનો હોમ આપવામાં આવે છે.
આ મંદિર પર દરરોજ અનેક ભક્તો દાદાને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને ભગવાન ગણપતિ તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. નવયુવાન અબાલ વૃદ્ધ સૌ કોઈ દૂર દૂરથી અહીં ભગવાન ગણપતિના દર્શને આવે છે અને જમણી સૂંઢના વિનાયકના દર્શન કરી ધન્ય બને છે. મંગળવાર ભગવાન ગણપતિનો વાર મનાય છે,એટલે મંગળવારે ભક્તોની ભારે ભીડ હોય છે. ઘણા ભાવિકો મંગળવારે ચાલતા આવી પોતાની બાધા આખડી પૂર્ણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.