સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતી અરવલ્લીની ગિરિકંદરાઓમાં બિરાજેલા સારણેશ્વર મહાદેવ માતા ઉમા સાથેના તેમના સંસારિક સ્વરૂપ સાથે પોતાના ભક્તોને દર્શન દઈ રહ્યા છે. ત્યારે ચાલો આજે તમને અમે અમારી વિશિષ્ઠ શ્રેણીમાં લઇ જઈએ અપ્સરાઓથી ઘેરાયેલા દેવોના દેવ મહાદેવના દર્શને.
૧૬મી સદીમાં અરવલ્લીની ગિરિમાળાઓ અને વનરાજીમાં ઘડાયેલા આ ભવ્યાતિભવ્ય અને પ્રાચીન મંદિરમાં સારણેશ્વર મહાદેવ બિરાજે છે. એક લોકકથા અનુસાર શિરોહીની રાજ્કુવરીનો નિયમ હતો કે શીવ આરાધના કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું પરંતુ વિજયનગર સ્ટેટના રાજકુમાર સાથે તેમના લગ્ન થયા બાદ તેઓએ ત્રણ–ચાર દિવસ સુધી શિવના દર્શનના થવાથી ઉપવાસ કર્યા અને તેમની આ તપશ્ચર્યાથી પ્રસન્ન થઇ ભોળાનાથે સ્વપ્નમાં આવીને આ સ્થળે સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે રાજ કુમારીને દર્શન આપેલા. ત્યારે પ્રખર શિવ ભક્ત એવી શિરોહીની રાજકુંવરીએ આ ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરાવેલું.
તમને જાણીને નાવી લાગશે કે સામાન્ય રીતે સ્મશાનવસી અને ભૂત પ્રેતોથી ઘેરાયેલા રહેતા કૈલાસપતિ અહીં અપ્સરાઓથી ઘેરાયેલા છે. પ્રાચીન એવા આ મંદિરની ફરતે વિવિધ અંગ-મરોડો સાથે અપ્સરાઓ છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું અનેકઘણું મહત્વ છે. એક લોકવાયકા પ્રમાણે મહારાણા પ્રતાપ અહી ગુપ્ત વેશે રહેલા. પ્રખર શિવભક્ત એવા મહારાણા પ્રતાપ અહી શિવની આરાધના કરતા.
ભોળાનાથના આશીર્વાદના પ્રતાપે જ તેમણે અહીંનાં આદિવાસી સ્થાનિક લોકોનો સહકાર મેળવી ફરી પોતાનું રાજ્ય પાછુ મેળવેલું. ત્યારે આજે પણ લોકો આ મંદિરનો ગૌરવપૂર્ણ ઈતિહાસ જાણી ભોળાનાથના સૌદર્યના દર્શન કરવા તથા મંદિરનું કલા-કોતરણીને માણવા અચૂક આવે છે.
સારણેશ્વર મહાદેવનું આ અલૌકિક સ્વરૂપ પોળોના ગાઢ જંગલમાં બીરાજેલું છે. અહીં મંદિરના એક એક પથ્થરો પોતાના ગૌરવપ્રદ ઇતિહાસને વર્ણવી રહ્યા છે.
અહીંની ગીચ વનરાજીના કણ-કણમાં મહાદેવ વસી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં હજારો ભક્તો મહાદેવજીના આ સ્વરૂપના દર્શન કરવા ખાસ દુર દુરથી ઉમટી પડે છે અને કૈલાસપતિને બીલીપત્ર ચડાવી પોતાની અસ્ખલિત શ્રધ્ધા વ્યક્ત કરે છે.
અહીંના અરણ્યોમાં વેરાયેલી આસ્થાને માથું નમાવી અહી વહેતા ઝરણા અને ડુંગરો સાથે કુદરતે ખોબેલે-ખોબલે વેરેલા સૌંદર્યોમાં ફરવાનો પણ લોકો લ્હાવો લઇ જ લે છે.
સ્મશાનમાં વસતા અને માનવીની સાથે સાથે ભૂત પ્રેતના પણ આરાધ્ય એવા દેવોના દેવ મહાદેવનું અહી અલગ જ સ્વરૂપ જોવા મળે છે અને તેથી જ એમના સંસારિક સ્વરૂપના દર્શન કરવો એ પણ એક લ્હાવો ઘણી શકાય. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં એક વાર તો આ મહાદેવજીની આગળ માથું ટેકવવાથી પણ તેમના અનરાધાર આશીર્વાદ વરસતા જ રહે છે.