કહેવાય છે કે શ્રદ્ધા હોય તો પુરાવાની શું જરૂર પરંતુ એકવાત એ પણ છે કે સવાલ જ્યારે શ્રદ્ધાનો હોય ત્યારે અર્થશાસ્ત્રની નીતિ અને રૂપિયાનો વૈભવ આડે નથી આવતો. દક્ષિણ ભારતના એક રાજ્યનું મંદિર આવી જ શ્રદ્ધાનું ઉદાહરણ છે. જ્યાં નવરાત્રી પર મંદિરને કરોડો રૂપિયાની રોકડ અને સોનાના ઘરેણાથી શણગારવામાં આવ્યું છે.
કોઇપણ એટીએમ કરતા પણ વધારે રોકડ સોનાની સામાન્ય દુકાન કરતા પણ વધુ અભૂષણ અને ગોદામમાં હોય તેટલી માત્રામાં ફળ. એક મંદિર જ્યાં ભક્તોએ ભક્તિભાવનો વૈભવ કઇંક આવી રીતે રજૂ કર્યો છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા કન્યકા પરમેશ્વરી મંદિરમાં ભક્તોની આવી શ્રદ્ધા ચર્ચાનો વિષય બની છે. માત્ર મંદિરની અંદર જ નહી બહારના દ્રષ્યો પણ દુનિયાના અન્ય મંદિરો કરતા અલગ જોવા મળે છે.
ગર્ભગૃહની બહાર ચલણી નોટોના તોરણ બનાવીને બાંધવામાં આવ્યા છે અને સાથે જ આસોપાલવના તોરણ ફુલ અને ફળના તોરણ પણ બાંધવામાં આવ્યા છે.
નવરાત્રી પર ખાસ દરવર્ષે આ મંદિરમાં આવી રીતે જ શણગાર કરવાની પરંપરા છે. આ વખતે મંદિરના શરણગાર માટે લોકો તરફથી 8 કિલો સોનુ મળ્યું છે જેની કિંમત 2 કરોડ રૂપિયા થાય છે.
આ સિવાય અઢી કરોડ રૂપિયા રોકડા પણ મંદિરને મળ્યા જેમાં વિદેશી ચલણ પર સામેલ છે. એટલે મંદિરમાં કુલ સાડા ચાર કરોડ રૂપિયાનું ચલણ અને ઘરેણા એકઠા થયા પરંતુ આ તમામ રકમ મંદિરને દાન રૂપે નથી મળી.
એટલે આવી રકમ લોકોને પરત આપી દેવામાં આવશે. લોકોને શ્રદ્ધા છે કે જો મંદિરના શણગાર માટે આવી રીતે રૂપિયા આપવામાં આવે છે તો તેમની આર્થિક સ્થિતી સારી બને છે.
વિશાખાપટ્ટનમમાં આવેલા કન્યકા પરમેશ્વરી મંદિરમાં મહાલક્ષ્મીના અલગ અલગ અવતારની પૂજા કરવામાં આવે છે. મંદિરના શણગાર માટે 200 સ્વયંસેવકો કામે લાગ્યા છે. 140 વર્ષ જૂના આ મંદિરમાં માત્ર એક જ દિવસમાં 50 હજાર લોકો દર્શન કરે છે.