આ ટેબ્લો પર ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંકી દર્શાવી છે
આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે ગણતંત્ર પર્વ પર દિલ્લીમાં પરેડ બાદ સંસ્કૃતિની ઝાંકી કરાવતા ટેબ્લો પણ રાજપથ પરથી વિવિધ રાજ્યોના ટેબ્લો પસાર થયા હતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનો ટેબ્લો રાજપથ પરથી પસાર થયો હતો. જેમાં આ વખતે ગુજરાતના શહીદોની થીમ પર ટેબ્લો બનાવવામાં આવ્યો છે. આ ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરાયું હતું.
ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી .
ઉલ્લેખનીય છે કે, 'ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો' વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા.અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.
પાલ-દઢવાવની ભીષણ એવી ઐતિહાસિક ઘટના શું છે ?
7 માર્ચ 1922માં અંગ્રેજોએ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસે દઢવાવ ગામે 1200થી વધુ લોકોને ગોળી મારી હત્યા કરી હતી. આ તમામ લોકોના મૃતદેહને કુવામાં નાંખી દેવામાં આવ્યા હતા. અંગ્રેજો દ્વારા લગાન વધારવામાં આવતા તમામ લોકો તેનો વિરોધ કરવા સભામાં આવ્યા હતા. સભામાં અંગ્રેજો સાથે વાતચીત ચાલી રહી તે સમયે તમામની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સરકાર દ્વારા દઢવાવ ગામે હાલ શહીદ વન અને વીરાંજલી વન પણ બનાવવામાં આવ્યા છે પરંતુ સ્થાનિકો ત્યાં શહીદોની યાદમાં એક મ્યુઝિયમ બને એવી આશા સેવી રહ્યા છે.