રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો હતો. તેવામાં અમદાવાદમાં રખડતાં ઢોર મામલે 60 પશુપાલક સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ કોર્પોરેશને 3 દિવસમાં 297 રખડતાં પશુ પકડ્યા છે. આ તરફ આણંદમાં પણ રખડતા પશુ પકડવાના મુદ્દે કાર્યવાહી સામે આવી છે. આણંદના કરમસદ, વિદ્યાનગર પાલિકાએ એક જ દિવસમાં 80 જેટલા રખડતા ઢોર પકડયા છે.
અમદાવાદમાં રખડતાં ઢોર મામલે 60 પશુપાલક સામે ફરિયાદ
અમદાવાદમાં હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે રખડતાં ઢોર મામલે 60 પશુપાલક સામે ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ અમદાવાદ કોર્પોરેશને 3 દિવસમાં 297 રખડતાં પશુ પકડ્યા છે. મહત્વનું છે કે, કોર્પોરેશનની કામગીરીથી શહેરના અમૂક રોડ પર રખડતાં ઢોરનો ત્રાસ ઘટ્યો છે. આ તરફ હવે તંત્રની કામગીરીમાં અડચણ સામે અંદાજે 6 ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઓઢવમાં 2, નિકોલ-બોપલ-ચાંદખેડા-ઘાટલોડિયામાં 1-1 ફરિયાદ નોંધાઈ છે.
આણંદમાં રખડતા પશુ પકડવાના મુદ્દે કાર્યવાહી
ગુજરાત હાઇકોર્ટના આદેશબાદ આણંદમાં પણ રખડતાં પશુઓને પકડવા કાર્યવાહી કરવામાં આવી છે. આણંદના કરમસદ, વિદ્યાનગર પાલિકાએ રખડતા પશુ પકડયા છે. આ પાલિકાઓ દ્વારા એક જ દિવસમાં 80 જેટલા રખડતા ઢોર પકડયા છે. જે બાદમાં તમામ પશુઓને અજરપુરા પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો છે. ત્યારે બીજી બાજુ આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે.
26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ
વધુમાં તમને જણાવી દઇએ કે, જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. પ્રસિદ્ધ કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ અપાયો છે.