અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે. આ અંગે ચીફ મિનિસ્ટરની ઓફિસ દ્વારા ઑફિસયલ ટ્વીટ કરીને કરી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે મંત્રીમંડળનો શપથ સમારોહ આવતીકાલે 1.30 વાગે યોજાશે
ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ ચરમસીમાએ..
નોંધનીય છે કે આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓનાં જીવ અદ્ધર થઈ ગયા હતા. એક બાદ એક ધારાસભ્યો પાટિલ સાથે બેઠક કરવા પહોંચી રહ્યા હતા જે બાદ બપોરનાં સમયે જાણકારી સામે આવી કે રૂપાણી સરકારમાં જેટલા મંત્રી હતા તેમાંથી એકેય મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવશે નહીં. આ સમાચાર સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ભૂકંપ આવી ગયો હતો. સવારથી હલચલ તેજ હતી ત્યારે અંતે શપથગ્રહણને આવતીકાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર માહિતી સામે આવી રહી છે કે નો રિપીટ થીયરીનાં કારણે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. જોકે સૂત્રોનું એમ પણ માનવું છે કે ગુજરાતમાં જે પણ નવા મંત્રીઓ બનશે તેનો અંતિમ આદેશ PMO તરફથી આપવામાં આવશે અને મંત્રીઓનું લીસ્ટ પહેલા PMOમાં જ મોકલવામાં આવશે.
નોંધનીય છે કે આજે સવારથી જ શપથવિધિને લઈને ધારાસભ્યોનાં મનમાં અસમંજસની પરિસ્થિતિ હતી. પહેલા સમાચાર સામે આવ્યા કે બપોરે બે વાગે શપથવિધિ યોજાશે અને તે બાદ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ સપાટી પર આવ્યો હતો.
ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળને લઈને મોટી ઉથલ પાથલના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓમાં નો રિપીટ થિયરીને લીધે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં 100 ટકા નો-રિપીટની થીયરી અપનાવવામાં આવી શકે છે અને જૂના મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળી શકે તેમ છે. ત્યારે ગુજરાતના તમામ મંત્રીઓ એક થઈ ભાજપ હાઈકમાન્ડના નિર્ણય સામે મોરચો ખોલી બેઠા હોય તેવુ લાગી રહ્યું છે. અને આજ કારણસર ભાજપના ઉકળતા ચરૂના માહોલને ડામવા શપથવિધિ તાબડતોબ કેન્સલ થઈ હોય તેવુ ચર્ચાઇ રહ્યું છે.