રાજ્યની દરેક હોસ્પિટલમાં કમાંડ કંટ્રોલ ઉભો કરવામાં આવશે. આ વ્યવસ્થા સાથે 108 જેવા એક કોમન નંબરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જેથી એ નંબર પર દર્દીઓ મુશ્કેલી અંગે ફરિયાદ કરી શકે.
સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધારવા પ્રયાસ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો નવતર અભિગમ
હોસ્પિટલ્સમાં ઉભા કરાશે કમાંડ કંટ્રોલ વિભાગ
રાજ્યમાં આરોગ્ય સેવાનેપારદર્શી વહીવટ સાથે સ્થાનિક સિવિલ હોસ્પિટલની સ્થિતિ સુધારે તેમજ ઈલાજ માટે આવતા દર્દીઓને સુચારુ વ્યવસ્થા મળે તે હેતુસર રાજ્યના આરોગ્ય મંત્રીએ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની દરેક હોસ્પિટલમાં કમાંડ કંટ્રોલ ઉભો કરવામાં આવશે. આ વ્યવસ્થા સાથે 108 જેવા એક કોમન નંબરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જેથી એ નંબર પર દર્દીઓ પોતાની મુશ્કેલી અને વ્યવસ્થા બાબતે ફરિયાદ કરી શકશે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વ્યવસ્થામાં સુધારો કરવાનાં પ્રયાસના ભાગરૂપ આ વ્યવસ્થા ઉભી થયા બાદ તેનું મોનીટરીંગ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરશે.
સિવિલ હોસ્પીટલના ધારા-ધોરણ સુધરશે
ગુજરાતની સિવિલ હોસ્પિટલની સ્થિતિ બિલકુલ લચર અને રેઢીયાળ હોવાની રાવ/ફરિયાદ વારંવાર આવે છે. ગંદકી,સાફ-સફાઈના પ્રશ્નો ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓ માટે અહીં-તહીં ભટકવું પડે તેવી સ્થિતિ મોટા ભાગની સિવિલ હોસ્પીટલમાં જોવા મળતી હોય છે.ત્યારે આ કમાંડ સેન્ટરમાં કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાની સિવિલ હોસ્પીટલમાં રહેલી પાણી, ગંદકી, શૌચાલય, લાઇટને લઇ ફરિયાદ કરી શકશે. આ ઉપરાંત પણ સિવિલ હોસ્પીટલના કર્મચારીઓના વાણી-વર્તન અંગે પણ ફરિયાદ થઇ શકશે
વિભાગમાં પારદર્શિતા માટે પ્રયાસ
રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ,માનવ સહજ અભિગમ દર્દીઓ સાથે દાખવે તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે.આરોગ્ય લક્ષી સેવાઓમાં ઝડપી સારવાર, શ્રેષ્ઠ સુવિધા, દર્દીઓ પ્રત્યે સંવેદનાસભર અભિગમ અને વહીવટીય પ્રક્રિયામાં પારદર્શિતા એ રાજ્યમંત્રીનો પ્રયાસ છે.
16.30 કરોડનું ટ્રુબીમ મશીનનું કર્યું લોકાર્પણ
તો આ તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક તકનીકોથી સજ્જ રેડીયોથેરાપી મશીનોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં ખુલ્લા મુક્યા હતા.જેમાં અંદાજીત 16.30 કરોડના ખર્ચે અમેરિકન કંપનીનું ટ્રુબીમ મશીન કાર્યરત કરવામાં આવ્યુ છે. જે મોઢા તથા ગળાના, ગર્ભાશયના,સ્તન, પ્રોસ્ટેટના, ફેફસા અને બ્રેઇન કેન્સરના સચોટ નિદાન અને સારવારમાં અત્યંત અસરકારક સાબિત થશે. આ મશીનથી જે ભાગમાં બિમારી હોય તેટલા ભાગને જ રેડિયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. જેના કારણે શરીરના અન્ય ભાગમાં રેડીયશનની આડ-અસરની સંભાવના ઘટી જાય છે.
વિવિધ અઘરા ઓપરેશનમાં થાય છે ઉપયોગી
અંદાજીત 22 કરોડના ખર્ચે ટોમોથેરાપી મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. જેના દ્વારા શરીરના જેટલા ભાગમાં કેન્સર હોય તે સંપૂર્ણ ભાગને એક સાથે રેડિયોથેરાપીની સારવાર આપી શકાશે.સાઇબર નાઇફ મશીન જે અંદાજીત 27.56 લાખના ખર્ચે અમેરીકન સ્થિત કંપની ના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનાવામાં આવે છે. રોબોટ દ્વારા આ મશીન થકી સારવાર શક્ય બને છે. મગજના કેન્સર તથા શરીરમાં ખૂબ જ નાની કેન્સરની ગાંઠ હોય તેવા કિસ્સામાં ફક્ત કેન્સરગ્રસ્ત ભાગને જ સારવાર આપીને અન્ય ટીસ્યુ(પેશીઓને) નહીવત નુકસાન પહોંચે તે પ્રકારની સચોટ સારવાર આ મશીન ઉપલબ્ધ કરાવે છે.