ઉત્તરપ્રદેશના રાજકારણમાં મહત્વપૂર્ણ નેતા અને રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી એટલે માયાવતી. બહૂજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ મૂર્તિઓ સ્થાપી અને આ મૂર્તિઓ પોતાના પક્ષના નિશાન હાથીની અને પોતાની હતી. સરકારી તિજોરીઓ પર કરોડોનો બોઝો આપનાર માયાવતી સામે દેશની સૌથી મોટી કોર્ટે લાલ આંખ કરી. કહ્યું કે લગાવેલી મૂર્તિઓનો જે ખર્ચ થયો છે તેના રૂપિયા જમા કરાવો.
બહૂજન સમાજ પાર્ટી એટલે કે BSPના સુપ્રીમો માયાવતી દલિત રાજનીતિ કરતા આ મેડમ છેલ્લે જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને પોતાની વાહવાહી કરવાનો એવો તો ચસકો લાગ્યો હતો કે રાજ્યના અનેક શહેરોની ગલીઓ-મહોલ્લામાં પોતાની જ મૂર્તિઓ સ્થાપી દીધી. મેડમ માયાવતી એટલેથી ન અટક્યા અને પોતાના જ પક્ષના નિશાન હાથીની પણ ઉંચી ઉંચી મૂર્તિઓ સ્થાપી દીધી અને આ બધી જ મૂર્તિઓ લગાવવાનો ખર્ચ રાજ્યની તિજોરીને આપ્યો. એટલે કે ખર્ચના નાણાં રાજ્યની ભોળી જનતાએ ચુકવ્યા પરંતુ આ મૂર્તિઓના ખર્ચને લઈ સુપ્રીમ કોર્ટ સખ્ત થઈ અને કહી દીધું કે પ્રજાના પૈસે તમારી મૂર્તિઓ લગાવી પણ હવે એ તમામ ખર્ચના રૂપિયા પાછા આપો. વાહવાહી મેળવવા કરેલો ખર્ચ જમા કરાવો.
લોકસભા ચૂંટણીની બરાબર પહેલા જ BSPના અધ્યક્ષ માયાવતીને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો. શુક્રવારે એક અરજીની સુનાવણી કરતા કોર્ટે ટિપ્પણી કરી કે BSP સુપ્રીમો માયાવતીએ પોતાની અને હાથિયોની મૂર્તિઓ બનાવવા માટે જનતાના રૂપિયાનો જેટલો ખર્ચે કર્યો છે તે જમા કરાવવો જોઈએ. આપને જણાવી દઈએ કે આ અરજીની સુનાવણી ખુદ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ કરી રહ્યા હતા અને હવે વધુ સુનાવણી આગામી 2 એપ્રિલના રોજ હાથ ધરાશે.
દેશની સૌથી મોટી કોર્ટે વર્ષ 2009માં દાખલ કરવામાં આવેલી રવિકાંત અને અન્ય લોકોની એક અરજી પર સુનાવણી કરતા માયાવતીને મૂર્તિઓ પર કરેલા ખર્ચના તમામ રૂપિયા સરકારી ખજાનામાં જમા કરાવવા કહ્યું. સુનાવણી દરમિયાન જસ્ટીસ રંજન ગોગોઈએ માયાવતીના વકીલને સખ્ત શબ્દોમાં કહ્યું કે તમારા ક્લાઈંટને કહી દો કે તમામ મૂર્તિઓ પાછળ કરેલા ખર્ચના નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવે.
આપને જણાવી દઈએ કે માયાવતી દ્વારા ઉત્તરપ્રદેશમાં બસપાના શાસનકાળ દરમિયાન અનેક પાર્કોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ પાર્કોમાં બસપાના સંસ્થાપક કાશીરામ માયાવતી અને હાથિયોની મૂર્તિઓ લગાવી હતી. આવા પાર્કોનું નિર્માણ લખનઉ નોઈડા સહિત અનેક શહેરોમાં કરવામાં આવ્યું હતું. જેના કારણે ઘણો જ વિવાદ થયો હતો. વિપક્ષ આ મુદ્દાને ઉઠાવી અનેકવાર માયાવતી પર નિશાન સાધતો રહ્યો છે. તો આપને એ પણ જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ વર્ષ 2015માં ઉત્તરપ્રદેશ સરકાર પાસે પાર્કો અને મૂર્તિઓ પર ખર્ચાયેલા સરકારી રૂપિયાની જાણકારી માગી હતી. તો યુપીમાં શાસનમાં આવેલી સમાજવાદી પાર્ટીની સરકાર મૂર્તિઓના મુદ્દે અનેકવાર માયાવતી અને બસપાને ઘેરતી રહી હતી. જો કે હાલ સમાજવાદી પાર્ટી અને બસપા બન્ને એક સાથે છે અને બન્નેએ ગઠબંધન કરી લીધું છે.
યુપીમાં અખિલેશ યાદવની સરકાર દરમિયાન લખનઉ વિકાસ પ્રાદ્યિરકરણ એટલે કે LDAનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લખનઉ નોઈડા અને ગ્રેટર નાઈડામાં બનાવવામાં આવેલા પાર્કોનો કુલ ખર્ચ 5 હજાર 919 કરોડ ખર્ચ કર્યા હતા. આ રિપોર્ટ મુજબ નોઈડા સ્થિત દલિત પ્રેરણા સ્થળ પર BSPના ચૂંટણી ચિન્હ હાથીની પથ્થરની 30 મૂર્તિઓ જ્યારે કાંસની 22 પ્રતિમા લગાવવામાં આવી હતી. જેની પાછળ 685 કરોડ ખર્ચ કરાયા હતા. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે આ પાર્કો અને મૂર્તિઓની જાળવણી પાછળ 5 હજાર 634 કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. તે વખતે અખિલેશ યાદવે માયાવતી પર રૂપિયા 40 હજાર કરોડના મૂર્તિ ગોટાળાનો આક્ષેપ પણ લગાવ્યો હતો પરંતુ એ આક્ષેપો પણ ભૂલાઈ ગયા અને એ વિરોધ પણ સમાઈ ગયો. કારણ કે આજે માયાવતી અને અખિલેશ યાદવ બન્ને એક થઈ ગયા છે. એટલે કે લોકસભા ચૂંટણી માટે બન્ને પાર્ટીઓએ ગઠબંધન કરી લીધું છે.