ફેક્ટરીના ઉત્તમ વહીવટને કારણે સતત બે વર્ષ બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ રિકવરીનો એવોર્ડ પણ મળ્યો
સુગર ફેક્ટરીએ બદલ્યું જીવન!
ખેડૂતોની આવકમાં થયો વધારો
સહકારથી ચાલતી સુગર ફેક્ટરી
રાજ્યના છેવાડાનો એક નાનકડો આદિવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો.પ્રકૃતિના ખોળે વસતો આ જિલ્લામાં મોટા પાયે શેરડીની ખેતી થાય છે.અને ખેતી જ આ જિલ્લાની આજીવિકાનું મુખ્ય સાધન છે.શેરડીના વધુ પાકને કારણે અહીં એક સુગર ફેક્ટરી આવેલી છે.અને આ ફેક્ટરી ખેડૂતોના જીવનને બદલી રહી છે.
એક સમયે બંધ થવાના આરે આવેલી ફેક્ટરી હવે..
આ છે નર્મદા જિલ્લામાં આવેલી એક માત્ર સુગર ફેક્ટર નર્મદા સુગર.આ જ ફેક્ટરી જિલ્લાના 8થી 10 હજાર લોકોના ઘર ચલાવે છે.પરંતુ આ જ ફેક્ટરી એક સમયે બંધ થવાના આરે આવી ગઈ હતી.પરંતુ એક સફળ વ્યક્તિના હાથમાં નેતૃત્વ સોંપાયું તો આજે લોકોની આજીવિકાનું મુખ્ય સાધન બની ગઈ છે.આપણે ખાંડનો ઉપયોગ રોજ કરતા હોઈએ છીએ.ભોજનની દરેક આઈટમમાં ખાંડનો ઉપયોગ થાય છે.અને તેમાં પણ આપણે ગુજરાતી એટલે મીઠા ખાવા ટેવાયેલા છીએ.સવારની ચા હોય કે દૂધ કે પછી બપોરના ભોજનમાં બનતી દાળ.ખાંડ વગર ન ચાલે.ત્યારે શેરડીમાંથી બનતી આ ખાંડ અનેક પ્રોસેસ બાદ તૈયાર થાય છે.
બે વર્ષ બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ રિકવરીનો એવોર્ડ
નર્મદા જિલ્લામાં વર્ષે લગભગ 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થાય છે અને તેમાંથી અંદાજિત 9 લાખ ક્વિન્ટલ ખાંડ ઉત્પન થાય છે.અને આ ખાંડનો વિદેશમાં પણ નિકાસ કરાય છે.આ ફેક્ટરીના ઉત્તમ વહીવટને કારણે સતત બે વર્ષ બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ રિકવરીનો એવોર્ડ પણ મળેલો છે.ફેક્ટરીનો આ વખતે પ્રયાસ છે કે ખેડૂતોને સારી આવક મળે.ખેડૂતો ટેક્નોલોજીથી ખેતી કરે.ફેક્ટરીના ચેરમેનનું કહેવું છે કે અમે દરેક ખેડૂતને ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ જેથી વહીવટમાં પાદર્શકતા આવે.
મોલાસીસ કરશે માલામાલ
હવે આગામી સમયમાં ખેડૂતોને સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે શેરડીના પિલાણ પછી તેની બાય પ્રોડક્ટ તરીકે મોલાસીસ ઉત્પન થાય છે.પરંતુ આ ફેક્ટરીએ ઈથેનોલ ડિસ્ટલરી યૂનિટ શરૂ કર્યો છે.જેના કારણે હવે આ ઈથેનોલનો ઉપયોગ પેટ્રોલ બનાવવામાં થશે.અને અનાથી પેટ્રોલની પડતર કિંમત ઓછી થશે.દેશના રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ ઈથેનોલના ફાયદા અને આગામી સમયમાં દેશ ઈથેનોલનું હબ બનવાનું છે તેવો દાવો કર્યો છે.ત્યારે ઈથેનોલના વધારે ઉત્પાદનથી જિલ્લાના ખેડૂતોને મોટો ફાયદો થશે.
નર્મદા જિલ્લાના ખેડૂતો પહેલા કેળા અને કપાસની ખેતી કરતા હતા.પરંતુ સુગર ફેક્ટરીને કારણે તેઓ શેરડી કરતા થયા છે.અને આનો ફાયદો પણ થયો છે.હવે તમામ ખેડૂતો શેરડીના વાવેતર પર ધ્યાન રાખીને ઉંચુ ઉત્પાદન મેળવી લાભ પણ સારો કમાઈ રહ્યા છે. આમ ખેડૂતો માટે નર્મદા સુગર ફેકટરી એક આશીર્વાદ રૂપ છે અને રોજગારીનું પર્યાય છે એટલે નર્મદા સુગર ફેક્ટરી સાચા અર્થમાં એકલા ખેડૂતો નહીં વ્યાપાર ધંધા માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે