સામાજિક સંબંધોના તાણાવાણા અને મનની લાગણીઓ મનુષ્યને ક્યારે પોતાના લક્ષ્યથી ભટકાવી દે છે તે કહેવું મુશ્કેલ છે અને એ વાત પણ સાચી છે કે ક્યારેક ક્ષણવારનો ક્રોધ મનુષ્યને કોઈ જુદી રીતે જ જીવવા મજબૂર પણ કરી દે છે. આવો જ એક કિસ્સો આજથી સાડા ત્રણ વર્ષ પહેલા ભાવનગર બન્યો હતો જેમાં એક હોનહાર કમાન્ડોને તેની ક્ષણિક મનઃ સ્થિતિએ પળવારમાં ખૂનનો આરોપી બનાવી દીધો. તો કોણ છે ગુજરાતી કમાન્ડો અને હાલમાં તેને કેમ કરવો પડયો યાદ. જોઈએ આ રિપોર્ટમાં.
એક સમયે સરહદ પર અને સરહદની અંદર દેશના દુશ્મનોને હંફાવતા આ હોનહાર યુવાન સાથે સામાજિક સંબંધોના તાણાવાણાએ એવી તો ક્રૂર મજાક કરી છે કે, તેને આજે દુશ્મન સામે બંદૂક તાકવાને બદલે એક આરોપી તરીકે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા મજબૂર થવું પડયું છે. જિગર વ્યાસ 15 વર્ષથી દેશમાં એનએસજી કમાન્ડો તરીકે ગૌરવ અને બહાદુરી પૂર્વક પોતાની ફરજ બજાવતો હતો.
ગુજરાતના ભાવનગરના આ જિગર વ્યાસ નામના આ કમાન્ડોએ 26-11ના હોટલ તાજ પરના આતંકી હુમલા હોય કે, જમ્મૂ-કાશ્મીના મેંઢરમાં આતંકીઓના હુમલાનો જડબાતોડ જવાબ આપવાનો હોય કે નાગાલેન્ડમાં આતંકીઓ પ્રવૃત્તિ ડામવા પોતાની કાબેલિયતનો પરિચય આપવાનો હોય. ગુજરાતના આ જવાને દેશ માટે ખૂબ પ્રશંસનીય સેવા કરી છે અને આ સેવાના બદલામાં તેમને સાત જેટલા ચંદ્રકો અને મેડલ પણ મળી ચૂક્યા છે. એટલું જ નહીં હોટલ તાજ પરના હુમલા સામેના ઓપરેશનમાં તેમને પગે ગોળી વાગી હતી. છતાં તેમણે બહાદુરી પૂર્વક પોતની ફરજ અદા કરી હતી. જેના બદલામાં તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આવો શૌર્યવંતો યુવાન એક ક્ષણિક આવેશ અને સંબંધોની લાગણીના ઉશ્કેરાટમાં એવું પગલું ભરી બેઠો કે તે કાયદાની નજરમાં ખૂનનો આરોપી બની ગયો. વાત એમ છે કે, આજથી સાડા ત્રણ વર્ષ પહેલા વર્ષ -2016માં આ યુવાન ફરજ પરથી રજા લઈને ઘરે આવ્યો હતો, પરંતુ વેલેન્ટાઈન ડેની પૂર્વ સંધ્યાએ તેણે પોતાની પત્નીને કઢંગી હાતલમાં તેના પ્રેમી સાથે સગી આંખે જોઈ લીધી. એક આર્મીમેનના ગુસ્સા પર કાબૂ ન રહ્યો અને તેણે પત્નીના પ્રેમી પર ધડાધડ ગોળીઓ વરસાવી અને મોતને ઘાટ ઉતારી દીધો. બસ પછી કાયદાએ કાયદાનું કામ કર્યું અને એક આર્મીમેન તરીકે કમાન્ડો જિગરનું સપનું રોળાઈ ગયું. આજે આ હોનાહાર યુવાન રાજકોટમાં આજીવન જેલની સજા કાપી રહ્યો છે અને તેમના માતા ઊંડા શોક સાથે એકલવાયું જીવન જીવી રહ્યા છે.
હાલ દેશમાં અને સરહદ પર તણાવનો માહોલ છે. દેશના જવાનો બન્ને મોરચે લડી રહ્યા છે. કેટલાક બહાદુર જવાનો આતંકવાદીઓ સામે લડતા શહીદ પણ થઈ રહ્યા છે. આ માહોલમાં જિગરના પરિવારજનો અને દેશની જનતા માટે થોડા આનંદના સમાચાર છે કે, આર્મી દ્વારા કમાન્ડો જિગરની મુક્તિ માટે હાઈકોર્ટ સમક્ષપત્ર અપીલ પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્ર દ્વારા હાઈકોર્ટને એવું પણ જણાવવામાં આવ્યું છે કે, દેશમાં પ્રવર્તમાન માહોલમાં જિગર વ્યાસ જેવા કમાન્ડોની પણ જરૂર છે. આ રજૂઆત સાથે આર્મી દ્વારા હાઈકોર્ટ સમક્ષ કમાન્ડો જિગરની શૌર્યસભર કામગીરીના પુરાવા પણ આપ્યા છે. જેના કારણે જેલમાં સબડતા એક બહાદુર જવાનની મુક્તિની આશા ઉજળી બની છે. આશા રાખીએ ગુજરાતના આ જવાનની જેલ મુક્તિ થાય અને તેમની શક્તિ દેશસેવામાં કામ લાગી જાય.