ઈન્વેસ્ટમેન્ટ ગુરુ રાકેશ ઝુનઝુનવાલા સામે ઈન્સાઈડર ટ્રેન્ડીંગના મામલામાં SEBI ની તપાસ શરુ થઈ ગઈ છે. સેબી આ પરિવારના અન્ય સભ્યની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે, જેઓ આ કંપનીમાં શેરધારક છે.
ઝુનઝુનવાલા ઈન્સાઈડર ટ્રેડિંગમાં ફસાયાઃ સેબીએ તપાસ શરૂ કરી
એપ્ટેક લિ.ના શેરના ઈન્સાઈડર ટ્રેડિંગનો મામલોઃ ઝુનઝુનવાલાના પરિવારની પણ તપાસ
ઇન્વેસ્ટમેન્ટ ગુરુ અને અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સામે ઇન્સાઇડર ટ્રેડિંગ મામલામાં તપાસ શરૂ થઇ ગઇ છે. એપ્ટેક લિમિટેડના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગ મામલામાં રાકેશ ઝુનઝુનવાલા સેબીની તપાસના દાયરામાં આવી ગયા છે. આ એજ્યુકેશન કંપની ઝુનઝુનવાલા અને તેમના પરિવારની છે. સેબી આ પરિવારના અન્ય સભ્યની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે, જેઓ આ કંપનીમાં શેરધારક છે.
આ ઉપરાંત ઇન્વેસ્ટર રમેશ એસ. દમાની અને કંપનીના ડાયરેક્ટર મધુ જયાકુમાર સહિત બોર્ડના કેટલાક સભ્યની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે, જોકે કયા સમયગાળા દરમિયાન ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનું કહેવાતું ઉલ્લંઘન થયું છે તે હજુ કન્ફર્મ કરી શકાયું નથી.
રાકેશ ઝુનઝુનવાલા અને અન્યને બજાવવામાં આવેલી નોટિસમાં તેમને જણાવાયું છે કે ઇનસાઇડર ટ્રેડિંગની શંકાસ્પદ પ્રવૃત્તિની તપાસમાં તેઓ સહકાર આપે. કંપનીઓના મેનેજમેન્ટમાં સામેલ લોકો માટે તેની મહત્ત્વપૂર્ણ જાણકારી હોય છે અને જો આ જાણકારી જાહેર થતાં પહેલાં તેના આધારે તેઓ શેરમાં લે-વેચને લઇ કોઇ મોટું પગલું ભરે કે જેના કારણે શેરના ભાવ પર અસર પડે તો તેને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય છે.
ઝુનઝુનવાલા ઉપરાંત તેમનાં પત્ની રેખા, ભાઇ રાજેશકુમાર, સાસુ સુશીલાદેવી ગુપ્તાને પણ સેબીએ પૂછપરછ માટે ૨૪ જાન્યુઆરીએ બોલાવ્યાં હતાં અને મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલ સેબીની હેડ ઓફિસમાં ઝુનઝુનવાલાની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઝુનઝુનવાલાએ ૨૦૦૬માં એપ્ટેકના શેર રૂ.૫૬ના ભાવે ખરીદ્યા હતા. ત્યારબાદ તેમનો અને પરિવારનો સ્ટેક વધીને ૪૯ ટકા થઇ ગયો હતો. સોમવારે એપ્ટેકનો શેર બીએસઇ પર રૂ. ૧૭૩ પર બંધ રહ્યો હતો. આ ગણતરીએ ઝુનઝુનવાલા અને તેમના પરિવારના સ્ટેકની માર્કેટ વેલ્યૂ રૂ.૬૯૦ કરોડ છે. એપ્ટેક ઝુનઝુનવાલાના રોકાણવાળી એકમાત્ર એવી કંપની છે, જેમાં તેમનો મેનેજમેન્ટ કંટ્રોલ છે.