ગોંડલ અને રીબડા વચ્ચે ચાલી રહેલા જૂથવાદની વચ્ચે રાજ્ય સરકારની એન્ટ્રી થઈ છે. સરકારે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે.
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો
આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકારની એન્ટ્રી થઈ
સરકારે જિલ્લા કલેક્ટર પાસે માંગ્યો રિપોર્ટ
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગોંડલ અને રીબડા જૂથવાદ મામલે હવે સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. તેથી જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલે જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ કલેક્ટર રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલશે.
ટિકિટ માટે બે જૂથ આવી ગયા હતા આમને-સામને
ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો જૂથવાદ ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. એક સમયના પાક્કા મિત્રો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાએ પોત પોતાના પરિવારને ટિકિટ મળે એ માટેના પ્રયાસો કર્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજા સમર્થક રીબડાનું એક જૂથ પણ એક્ટિવ થયું હતું. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કરેલા સમાધાનના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે હતા. ટિકિટ માટે ભાજપના બે જૂથ આમને-સામને આવી ગયા હતા. જોકે, ભાજપ મોવડી મંડળે અંતે ગોંડલ વિધાનસભા બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજાને રિપીટ કર્યા હતા.
અનિરુદ્ધસિંહે કોંગ્રેસના ઉમેદવારને આપ્યું હતું સમર્થન
જે બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટો ધડાકો કર્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'હું અમિત શાહ અને નરેન્દ્ર મોદીની માફી માંગુ છું. હું કોંગ્રેસમાં નથી પરંતુ કોંગ્રેસનું સમર્થન કરીશ. હું ગોંડલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈને સમર્થન કરીશ. હું ભાજપમાં જ છું પણ ગોંડલ બેઠક પર જ કોંગ્રેસને સમર્થન આપીશ.'
ચૂંટણી વખતે ગોઠવવામાં આવ્યું હતું ચુસ્ત બંદોબસ્ત
બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી હતી. ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ ઉભા કરી દેવાયા હતા. આ ઉપરાંત SRP અને CRPFની અનેક કંપનીઓને તૈનાત કરાવવામાં આવી હતી.
ગીતાબા જાડેજાનો થયો હતો વિજય
ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાનો 43,313 મતથી વિજય પણ થઈ ગયો છે. જે બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મહાસંમેલન થકી રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. રીબડા ખાતે આવેલ હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન યોજાયું હતું.
યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો થયો હતો આક્ષેપ
થોડા દિવસ અગાઉ ગોંડલના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. 22 ડિસેમ્બરે મોડી સાંજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને તેમના સાથીઓએ યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો હતો. જોકે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આને રાજકીય ચાલ ગણાવી હતી. જોકે, અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
ક્ષત્રિય આગેવાનોએ સમાધાનના પ્રયાસ કર્યા હતા શરૂ
ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે વિવાદ વધતા ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ માટે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા હતા. આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ પી.ટી જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે. તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ.
જયરાજસિંહ જાડેજાના પુત્રએ કાઢ્યો હતો બળાપો
રીબડા જૂથ સાથે સમાધાનની વાત પર જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહે બળાપો કાઢ્યો છે. તેમણે જણાવ્યું કે, હવે સમાજને જાગવામાં મોડુ થઇ ગયું છે, અમારા ટેકેદારોને હેરાન કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું.