ગાંધીનગર: રાજ્યમાં વરસાદ ખેંચાતા વાવણી નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી તે હવે 10 કલાક આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર વતી ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. તો આ નિર્ણયને કારણે 15 લાખ જેટલા ખેડૂતોને લાભ મળશે અને 8 કરોડ યુનિટ વીજળીનો કુલ વપરાશ થશે.
જેના કારણે રાજ્યને સરકાર પર મહિને 250 કરોડનું ભારણ વધશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં પહેલા વાવણીલાયક સારો વરસાદ આવ્યો હતો અને ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ન આવતા ખેડૂતોની વાવણી નિષ્ફળ જવાનો ભય હતો. પરંતુ હવે વીજળી વધુ મળવાને કારણે ખેડૂતો સિંચાઈના પાણીથી વાવણી કરેલા પાકને બચાવી શકશે.
આપને જણાવી દઇએ કે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમય વિત્યો હોવા છતાં વરસાદનું વાતારણ જોવા નહીં મળતા ગુજરાતની પ્રજા સહિત સરકાર પણ ચિંતામાં મુકાઇ હતી. સીઝનની શરૂઆતના તબક્કામાં જે પ્રકારે વરસાદ પડ્યો હતો તેનાથી લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું તો છેલ્લા કેટલાક સમયથી વરસાદ પાછો ખેંચાતા રાજ્ય સરકાર વતી આજે ઊર્જામંત્રી સૌરભ પટેલે ખેડૂતોલક્ષી નિર્ણય લીધો હતો.
ગાંધીનગર ખાતેથી રાજ્યના ઊર્જામંત્રીએ ખેડૂતોને વધારાના 2 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. જેના કારણે ખડૂતોમાં ખુશીનું મોજું જોવા મળ્યું છે. આ સાથે જણાવી દઇએ કે વરસાદ પાછો ખેંચાતા ગતરોજ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે રાજ્ય સરકાર કૃત્રિમ વરસાદ કરવા માટે પણ વિચારી રહી છે.