ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે સરકારે શરૂ કર્યો હેલ્પ લાઈન નંબર
ઉત્તરાખંડમાં ગુજરાતના યાત્રિકો ફસાયા
CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે કરી વાત
યાત્રિકોના સંપર્ક માટે હેલ્પલાઈન નંબર જાહેર
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મુશળધાર વરસાદ તો ગૌલા નદીમાં ભયાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે 1993 બાદ પ્રથમ વખત ગૌલા નદીમાં ભયાનક પૂર આવ્યું છે, નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અને હજુ પણ ઉત્તારખંડમાં 3થી4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
યાત્રિકોના સંપર્ક માટે હેલ્પલાઈન નંબર જાહેર
ઉત્તરાખંડમાં સર્જાયેલી પરિસ્થિતિને પગલે કેટલાય ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા છે.જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત પણ કરી છે, તો સાથે જ રાજ્યના મુખ્ય સચિવે પણ સ્થાનિક વહીવટી તંત્ર સાથે વાત કરીને ગુજરાતીઓ સલામતી માટે માહિતી મેળવી છે, ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે જેને લઈ ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે સરકારે એક હેલ્પ લાઈન નંબર પણ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે 079 23251900 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ નંબર પર ફસાયેલા નાગરિકો સંપર્ક કરી શકે છે. તેમજ ફસાયેલા યાત્રિકોની વિગતો આપી શકાશે અને યાત્રિકો સંબંધીત માહિતી પણ મેળવી શકાશે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે યાત્રિકો ફસાયા
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો ભારે વરસાદને કારણે ઉત્તરકાશી અને નેતાલ આસપાસ હજારો ગુજરાતીઓ ફસાયા હોવાનું પણ મનાઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં મણિનગરનો એક પરિવાર ફસાયો છે, મણિનગરનો અવિરોધ મેકવાન દીકરા-દીકરી, જમાઈ સાથે યાત્રા પર ગયા છે ત્યારે યમનોત્રીની યાત્રા બાદ અવિરોધ મેકવાન નેતાલના મહિમા રિસોર્ટમાં ફસાયા ગયો હોવાનું જણાઈ રહ્યું છે.
ઉત્તરાખંડમાં ફસાયેલા યાત્રિકો વિગતો આપી શકશે
આ તરફ અમદાવાદ વાડજનું પણ એક દંપતી કેદારનાથમાં ફસાયું છે, ગંગોત્રીમાં ભારે વરસાદના કારણે 3 હજારથી વધુ ગાડી અટવાઈ ગઈ છે. તેમાં આ પરિવાર ફસાઈ ગયું છે તો રાજકોટનું પણ 180 લોકોનું ગૃપ ગંગોત્રીમાં ફસાયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ તો ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર ફસાયા છે.
ફસાયેલા ગુજરાતીઓને જરૂરી મદદ માટે કરી વાત
હાલ તો ઉત્તરાખંડની આફતમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી વાત કરી છે. મુખ્ય સચિવે પણ ત્યાના સ્થાનિક વહિવટ સાથે સંપર્ક કરીને ગુજરાતીઓ વિશે માહિતી મેળવી હતી. જો કે પ્રવાસે ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનું મનાઈ રહ્યું છે.