ભારત માતા કી જયના નારા સાથે લાલ ચોકમાં લહેરાયો તિરંગો
કુલગામ, અનંતનાગ, શ્રીનગર સહિત જમ્મુ-કાશ્મીરના દરેક ખૂણામાં ત્રિરંગો લહેરાયો
દેશ આજે સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. જેને લઈ આ તરફ લોકોએ શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ પણ ફરકાવ્યો હતો અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે, સ્વતંત્રતા દિવસના આ અવસર પર દેશભરમાં ઉજવણીનો માહોલ છે. દેશની રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર, કન્યાકુમારી સુધી દેશ 15મી ઓગસ્ટની ઉજવણી હર્ષોલ્લાસથી કરી રહ્યો છે.
શ્રીનગરના લાલ ચોકમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી
શ્રીનગરના લાલ ચોકમાં ઘણા લોકો એકઠા થયા હતા અને આ દરમ્યાન તેઓએ ત્રિરંગો ફરકાવતા 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં તિરંગા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો અને પોતપોતાના ઘરે ધ્વજ ફરકાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના લોકોમાં ત્રિરંગો ફરકાવવા માટે જેટલો ઉત્સાહ છે તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. કુલગામથી અનંતનાગ, શ્રીનગર, સોપોર સહિત જમ્મુ અને કાશ્મીરના દરેક ખૂણામાં ત્રિરંગો લહેરાતો જોવા મળે છે.
આજે સેંકડો લોકો 'હર ઘર તિરંગા' હેઠળ દાલ તળાવ પર એકઠા થયા હતા અને ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સાથે રવિવારે શ્રીનગરમાં એક કાર્યક્રમમાં લોકોએ 1850 મીટરથી વધુ લાંબા ત્રિરંગાને પ્રદર્શિત કર્યો. આ માહિતી આપતાં સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકોએ ભાગ લીધો હતો.