આયુર્વેદ એક એવી ચિકિત્સા પ્રણાલી છે, જેનો ઉપયોગ વર્ષોથી થઇ રહ્યો છે. આ પદ્ધતિમાં ગંભીર રોગોનો ઇલાજ પણ છુપાયેલો છે. આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેક્ટ હોતી નથી. આ પદ્ધતિના નિયમો જો ફોલો કરવામાં આવે તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે.
આયુર્વેદમાં છૂપાયેલું છે સંપૂર્ણ સ્વસ્થ જીવનનું રહસ્ય
સૂર્યોદય પહેલા પ્રાતઃ બ્રાહ્મ મૂહુર્તમાં ઊઠવાનું છે મહત્વ
આયુર્વેદ વિશ્વની સૌથી પ્રાચીન ચિકિત્સા પ્રણાલીઓ માંથી એક
હાલના સમયમાં જ્યારે વિદેશોમાં પણ આયુર્વેદ અને યોગને એક સંપૂર્ણ ચિકિત્સા પ્રણાલી તરીકેની માન્યતા મળી ચૂકી છે, ત્યારે ભારતમાં જ આપણા ઘરઆંગણાનું જ્ઞાન ભારતીયો માટે દોહ્યલું બનતું જઈ રહ્યું છે. ભારતમાં હાલમ જ્યારે કે કોવિડ સંકટ તેના ચરમ પર છે, સામાન્ય માનવીના જીવન જીવવાની રીતો બદલાઈ રહી છે ત્યારે ભારતે ફરીથી તેના પારંપરિક જ્ઞાન તરફ એક દ્રષ્ટિપાત કરવો જરૂરી બની જાય છે.
સૌથી વધુ મહત્વ છે સારી શરૂઆતનું, અને તેના માટે સવારે વહેલા ઊઠવું બહુ જરૂરી છે
સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોવું જોઇએ. તે તમારા શરીર માટે લાભદાયક છે. તેનાથી તમને તાજગી મળે છે.
આ નિત્યક્રિયાઓથી પરવારવું છે જરૂરી
સવારે ઊઠતાં સૌથી પહેલાં મળમૂત્રનો ત્યાગ કરો. તેનાથી તમારા શરીરની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો બહાર નીકળે છે અને તમે તાજગી તેમજ હળવાશ અનુભવો છો. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ બેથી ત્રણ ગ્લાસ પાણી પીઓ.
યોગાસન અને પ્રાણાયામ કરવાનું ના ભૂલો
રોજ કમસે કમ ૩૦થી ૪૦ મિનિટ યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો. તેનાથી તમે સ્વસ્થ રહી શકશો. તમે હળવી સેર પણ કરી શકો છો.
શરીરની માલિશના છે ઘણા ફાયદા
રોજ સરસવ, નારિયેળ કે અન્ય કોઇ ઔષધીય તેલથી શરીર પર ૧૫ મિનિટ માલીશ કરો. તેનાથી તમારાં હાડકાં મજબૂત થશે અને તમારા શરીરનો બધો થાક દૂર થશે. રોજ ના કરી શકો તો વીકમાં બે વાર જરૂર કરો.
આયુર્વેદના આ નિયમો પાળવા છે અત્યંત જરૂરી
દિવસમાં લગભગ ત્રણથી ચાર લિટર પાણી પીઓ. રાતે સૂતી વખતે વધુ પાણી ન પીઓ.
સવારે ઊઠ્યાના એકથી બે કલાકની અંદર જ નાસ્તો કરી લો. ખાવાનું પૌષ્ટિક હોય તે ખૂબ જરૂરી છે.
જમ્યા પછી તરત પાણી ન પીઓ, કેમ કે તેનાથી જમવાનું પચતું નથી. અડધાથી પોણા કલાકનું અંતર રાખો.
ભોજન કર્યા પછી તરત પરિશ્રમવાળું કામ ના કરો.
આઠથી નવ કલાકની સારી ઊંઘ લો. સૂતાં પહેલાં ઠંડા પાણીથી હાથ અને પગ ધુઓ, તેનાથી સારી ઊંઘ આવશે.