ગુજરાત વિધાનસભાનાં ચોમાસું સત્રનો આજે બીજો દિવસ અને અંતિમ દિવસ છે.વિધાનસભાના અંતિમ દિવસે બે વિધેયક રજુ થશે. ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક અને કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી વિધેયક રજૂ કરાશે. આ ઉપરાંત કોવીડ કાળમાં અમદાવાદના નવરંગપૂરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 જેટલા કોવીડ દર્દીઓના થયેલા મોત અંગેનો રીપોર્ટ સાથોસાથ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં લાગેલી આગનો રિપોર્ટ ગૃહમાં મુકાશે.આ ઉપરાંત વિવિધ સમિતિઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ચૂંટણીની જાહેરાત અધ્યક્ષ કરશે.સાથોસાથ અંતિમ દિવસનો પ્રસ્તાવ ગૃહમાં રજુ થશે.
સત્રનો પહેલો દિવસ -પાટીલ ગેલેરીમાં
રાજ્ય સરકારમાં નવા-સવા મંત્રીઓ અને મુખ્ય મંત્રી સામે વિપક્ષ એક પડકાર બનીને ના ઉભો રહે તે માટે સદન શરુ થતા પૂર્વે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના દંડકની ઓફિસમાં પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના આક્રમણને મજબૂતાઈથી કેવી રીતે ખાળવા તે અંગે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું. ગૃહ શરૂ થયા બાદ ખુદ પાટીલે પ્રેક્ષક ગેલેરીમાંથી નવા મંત્રી મંડળની કામગીરી નિહાળી હતી. પાટીલની સાથે 4 મહામંત્રીઓ પણ ઉપસ્થિત હતા. જ્યારે ડ્રગ્સ કેસને લઈને પરેશ ધાનાણીએ જ્યારે રજૂઆત કરી ત્યારે વિપક્ષનો વાર ખાળવામાં માહેર એવા વરિષ્ઠ નેતાઓની કમી નવા મંત્રીઓમાં જોવા મળી હતી .વિધાનસભા ગૃહની બહાર લોબીમાં પક્ષ અને વિપક્ષના અનેક કાર્યકરો અને મુલાકાતીઓ આવ્યા હતાં.
ધાનાણીએ સરકાર પ્રહાર.-વોક આઉટ
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે પરેશ ધાનાણીએ કહ્યું કે વિધાનસભામાં ઉપાધ્યક્ષનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે અગાઉ કોંગ્રેસની સત્તમાં વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનતા પરતું આ વખતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેમાં સત્તાપક્ષ જ શાસન ચલાવે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારાનું નામ આગળ કર્યું હતું. મહત્વનું છે કે પ્રથમ દિવસે કોંગ્રેસ વિધાનસભાન સત્ર પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી જેમાં બે દિવસ ચાલનારા સત્રમાં કોંગ્રેસ સરકારને વિવિધ રીતે ઘેરવાનો પ્લાન ઘડાયો હતો.પ્રથમ દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી બાદ કોંગ્રેસે ગુજરાતના કચ્છમાં પડકાયેલા કરોડોના ડ્રગ્સનો મુદ્દો ઉઠાવી સરકારને આ માટે જવાબદાર ઠેરવી હતી જે બાદ કોંગ્રેસ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો.