કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ હતા. તેમના મૃત્યુ પછી ખાલી પડેલી બેઠક હવે ભાજપના ખાતામાં જઈ શકે છે. નોંધનીય છે કે અહેમદ પટેલને રાજ્યસભા પહોંચાડવા માટે કોંગ્રેસે ઘણી મહેનત કરી હતી.
કોંગ્રેસે મહામુશ્કેલીએ જીતી હતી રાજ્યસભાની બેઠક
હવે આ રાજ્યસભા બેઠક ભાજપના ખાતામાં જવાનું નક્કી
હાલમાં જ કોરોનાથી અહેમદ પટેલનું મોત થયું હતું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ના નિધન પછી તેમની રાજ્યસભા ની બેઠક ખાલી થઈ ગઈ છે તે હવે ભાજપના ખાતામાં જશે. 2017 ની ચૂંટણીમાં ભારે સંઘર્ષ પછી અહેમદ પટેલે આ બેઠક જીતી હતી. ગયા મહિને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત 71 વર્ષિય અહેમદ પટેલનું અવસાન થયું હતું. તેઓ પાંચ વખત રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 25 નવેમ્બરના રોજ તેમના અવસાનના આ બેઠક ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ 18 ઓગસ્ટ, 2023 સુધીનો હતો.
ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકો ખાલી પડી છે
ગુજરાતથી રાજ્યસભાના ભાજપના સાસંદ અભય ભારદ્વાજના પણ અવસાન પછી તેમની બેઠક ખાલી જાહેર કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ 21 જૂન 2026 સુધીનો હતો. ચૂંટણી પંચે બંને ખાલી બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બંને બેઠકો પર હાલના ગણિત મુજબ ભાજપના ઉમેદવારોની જીત લગભગ નક્કી છે.
ગુજરાતના રાજકીય સમીકરણની વાત કરીએ તો રાજ્યમાં ભાજપ પાસે 111 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે 50 ટકા મત અથવા 88 મતો જરૂરી છે. ગયા વર્ષે આજ રીતે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી પડેલી બેઠકો પણ ભાજપ એ જીતી હતી. 2019 માં વિદેશ પ્રધાન એસ જયશંકર (એસ જયશંકર) એ એક બેઠક જીતી હતી. જો કે તેમની ચૂંટણીને કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
સોનિયા ગાંધીના પ્રમુખ બન્યા બાદ અહેમદ પટેલની ભૂમિકામાં થયો વધારો
અહેમદ પટેલ ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતા હતા અને કોંગ્રેસના ઘણા ઉતાર ચડાવના સફરમાં તેઓ તેના સાક્ષી રહ્યા, જો કે જ્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું, ત્યારથી અહેમદ પટેલની ભૂમિકામાં મોટો વધારો થયો હતો અને તેઓ કોંગ્રેસની કિચન કેબિનેટના સભ્ય બની ગયા હતા. અહેમદ પટેલની આ ભૂમિકાને લઈને તેમને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટણી જિતાડવા માટે કોંગ્રેસે પણ ઘણી મેહનત કરી હતી.