કોડીનાર તાલુકાના તમામ ગામોના સરપંચોએ આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું
કોડીનારમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ
50થી વધુ ગામના સરપંચોનું મામલતદારને આવેદન પત્ર
સરપંચોની આરોપીને ફાંસીની માંગ
કોડીનાર પંથકમાં થોડા દિવસો પહેલા 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ ગુજારી ઇસમે તેની હત્યા કરી હતી. જેને લઈ હવે ભારે રોષ વચ્ચે કોડીનાર તાલુકાના તમામ ગામોના સરપંચોએ આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં આખો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને આરોપી નરાધમને ફાંસીની સજા મળે તેવી માંગ કરાઇ છે. આ સાથે હવે આગામી દિવસોમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પીડીત પરિવારના સભ્યોની મુલાકાત લેશે અને સાંત્વના પાઠવશે.
શું હતી સમગ્ર ઘટના ?
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે થોડા દિવસ પહેલા 8 વર્ષની બાળા સાથે આરોપી શામજી સોલંકીએ દુષ્કર્મ આચરી બાળાને મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધી હતી. જેને લઈ ગામ અને પંથકમાં ઈસમ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે ખુદ તાલુકાની ગ્રામ પંચાયતો સરપંચો આ મામલે હરકતમાં આવી મામલતદારને આવેદન પત્ર આપ્યુ છે.
આરોપીને હોસ્પિટલમાં મેડિકલ માટે લવાયો
જંત્રાખડી ગામે બનેલી ઘટના બાદ આરોપી શામજી સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં આજે તેના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોડીનાર સરકારી હોસ્પિટલમાં મેડીકલ માટે લાવવામાં આવ્યો હતો.
સરપંચોએ આરોપીને ફાંસી આપવા કરી માંગ
8 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાને લઈ તાલુકાના સરપંચોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે કોડીનાર તાલુકા ભરના તમામ ગામોના સરપંચોએ આખો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા મળે તેને લઈ કોડીનાર મામાલદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આજે 50થી પણ વધુ ગામના સરપંચો મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર પાઠવી ફાંસીની માંગ કરી છે.
બક્ષીપંચ મોરચાના પ્રમુખે પીડિત પરિવારની મુલાકાત કરી
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર જંત્રાખડી દુષ્કર્મના આરોપીને રાજ્યભરમાંથી ફાંસી સજાની માંગ થઈ રહી છે. તો બીજી તરફ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કનગડ અને દિલીપ બારડ સહિતના આગેવાનોએ આજે જંત્રાખડી ગામે જઈ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં પરિવારને સાંત્વના પાઠવી બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી હતી. આ સાથે પીડિત પરિવારને આશ્વાશન આપવામાં આવ્યું છે કે, આરોપીને તાત્કાલિક સજા મળે તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. જેનું સુધી મોનીટરીંગ ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે. આ સાથે આગામી દિવસોમાં ગૃહ મંત્રી પણ પીડીત પરિવારના સભ્યોની મુલાકાત લેશે અને સાંત્વના પાઠવશે.