અમદાવાદના રેસ્ટોરન્ટમાં નો વેક્સિન નો એન્ટ્રીનો નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો માત્ર નામ પૂરતાજ છે. કારણકે રેસ્ટોરન્ટો દ્વારા કોઈનુું પણ સર્ટિફિકેટ ચેક નથી કરવામાં આવતું. જેથી બેદરકારી ભારે પડી શકે છે.
રેસ્ટોરન્ટમાં વેક્સિન સર્ટિફિકેટ બતાવાના નિયમો માત્ર નામના
મનપાના નિર્ણયોનું નથી થઈ રહ્યું પાલન
રેસ્ટોરન્ટની બહાર નો વેક્સિન નો એન્ટ્રીના બોર્ડ માત્ર દેખાડવા પૂરતા
અમદાવાદનાં હોટલ અને રેસ્ટોરાંમાં જમવા માટે જવું હોય તો ફરજિયાત વેક્સિનેશનનું સર્ટિફિકેટ સાથે રાખવાનો નિર્ણય થોડા દિવસ પહેલાં હોટલ અને રેસ્ટોરાં એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો હતો. એક અઠવાડિયા પહેલાં લેવાયેલા આ નિર્ણયનું બાળમરણ થઇ ગયું છે, જેના કારણે અમદાવાદનાં મોટા ભાગનાં હોટલ અને રેસ્ટોરાંમાં જમવા માટે આવતા લોકોનાં વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવતાં નથી. હોટલ અને રેસ્ટોરાંને નફો કરવાની એટલી બધી તડપ છે કે તે કોઇ પણ ગ્રાહકનાં સર્ટિફિકેટ જોયા વગર તેમને એન્ટ્રી આપી દે છે. એસોસિયેશનના નિર્ણય બાદ મોટા ભાગનાં હોટલ અને રેસ્ટોરાંએ ‘નો વેક્સિન, નો એન્ટ્રી’નાં બોર્ડ મારી દીધાં છે, પરંતુ તે માત્ર નામનાં છે.
વેક્સિન વગર એન્ટ્રીનો નિયમ માત્ર નામનો
અમદાવાદની મોટા ભાગની હોટલોમાં વેક્સિનનાં સિર્ટિફકેટ ચેક કર્યા વગર તમામ ગ્રાહકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એક અઠવાડિયા પહેલાં રેસ્ટોરાં અને હોટલના એસોસિયેશન દ્વારા એક નિર્ણય લેવાયો હતો, જેમાં કોઇ પણ ગ્રાહકનું વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કર્યા વગર એન્ટ્રી આપવી નહીં તેવો આદેશ કરાયો હતો. કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઇ ગઇ છે ત્યારે ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહીવટીતંત્ર વેક્સિનેશન અભિયાન પર વધુ ને વધુ ભાર મૂકી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જાહેર સ્થળો પર વેક્સિન વિના લોકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયો હતો. હવે અમદાવાદ શહેરના હોટલ અને રેસ્ટોરાં સંચાલકોએ પણ વેક્સિન વિના હોટલોમાં પ્રવેશ ન આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જોકે આ નિર્ણય માત્ર નામનો છે.
રેસ્ટોરન્ટમાં પ્રવેશનાર માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત
આ અંગે હોટલ એન્ડ રેસ્ટોરાં ગુજરાત એસોસિયેશન દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરાંને પત્ર લખીને જાણ કરવામાં આવી છે, જે અંતર્ગત હોટલ અને રેસ્ટોરાંમાં પ્રવેશ માટે વેક્સિનેશનનું સર્ટિકિકેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આથી હવે દરેક હોટલ અને રેસ્ટોરાંમાં ગ્રાહકોને વેક્સિનેશનના સર્ટિફિકેટની તપાસ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં તહેવારોની સિઝન આવી રહી છે અને ત્રીજી લહેરની સંભાવના સેવાઇ રહી છે, જો ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થશે તો આપણા ધંધા ફરી ઠપ થઇ જશે. આથી આપણે જવાબદારી સ્વીકારી વેક્સિનનો ડોઝ ના લીધો હોય તેવી વ્યક્તિઓને આપણાં હોટલ કે રેસ્ટોરાંમાં પ્રવેશ આપતાં રોકવા જોઇએ.
23 સપ્ટેમ્બરથી નિયમ અમલમાં મુકાયો
અમદાવાદીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે અને એમાં પણ હોટલમાં જઈ પરિવાર તથા મિત્રો સાથે ખાવાનો ચટકો અને શોખ દરેક અમદાવાદી ધરાવે છે. એક તરફ દેશમાં પુરપાટ ઝડપે વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. રોજેરોજ લાખો વેક્સિનના ડોઝ અપાઈ રહ્યા છે, છતાંય હજુ પણ એવા ઘણા લોકો છે કે જે કાં તો વેક્સિનથી ડરી રહ્યા છે, તેમને કોઈ શંકા છે અથવા તો તેઓ એમ જ વેક્સિન નથી લઈ રહ્યા. ગૃહપ્રધાન અમિત શાહે પણ અમદાવાદમાં સંપૂર્ણ રસીકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપી દીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ યુદ્ધના ધોરણે કેમ્પ ગોઠવી વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તેવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશનની મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક હોટલ અને રેસ્ટોરાંમાં કોરોનાની વેક્સિન લીધેલી હોવાનું પ્રૂફ એટલે કે વેક્સિન સર્ટિફિકેટ વગર પ્રવેશની મનાઈ ફરવામાં આવી છે. આ નિર્ણયનો ર૩ સપ્ટેમ્બરથી અમલ કરવામાં આવ્યો હતો. આથી જો આજે હોટલ-રેસ્ટોરાંમાં પરિવાર કે મિત્રો સાથે જમવા જવાનું વિચારી રહ્યા હો તો તમામનાં વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત લઈ જજો, નહિતર ખાવા તો ઠીક, હોટલ કે રેસ્ટોરાંમાં બેસવા પણ નહીં મળે.
વેક્સિન સિવય ક્યાય પ્રવેશ ન મળવાનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય અંતર્ગત કોરોના વેક્સિન ન લેનારા લોકોને સાબરમતી િરવરફ્રન્ટ, બીઆરટીએસ તેમજ એએમટીએસમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ સિવાય કાંકરિયા ઝૂ, લાઇબ્રેરી, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલમાં પણ વેક્સિન વિના પ્રવેશ આપવામાં આવતો નથી. આટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ કચેરીઓ અને સિવિક સેન્ટરમાં પણ વેક્સિન વિના પ્રવેશ ન આપવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે. આ નિર્ણયના પગલે સાબરમતી રિવરફ્રન્ટ પર બેસેલા લોકોનાં વેક્સિનેશન સર્ટિફિકેટની સિક્યોિરટી ગાર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.