રિવરફ્રન્ટ જેટલો સુંદર છે એટલો જ ખતનાક કેમ કે રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પોલીસને ગુનાઓનું ડિટેક્શન કરવામાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે
રિવરફ્રન્ટ જેટલો સુંદર છે એટલો જ ખતનાક
ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ લૂલી સાબિત થઇ
રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા ક્યારે લગાવાશે ?
અમદાવાદનો રિવરફ્રન્ટ જેટલો સુંદર છે એટલો જ ખતનાક પણ છે, કેમ કે સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પોલીસને ડિટેક્શન કરવામાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છેઃ રિવરફ્રન્ટ ગાર્ડન પાસે થયેલા બે યુવકો પર છરી વડે હુમલાના કેસમાં હજુ આરોપીઓનો પત્તો લાગ્યો નથી
ગુનાનો ભેદ પોલીસને પડી રહી છે તકલીફ
શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીના બે છેડે બનાવેલા રિવરફ્ર્ન્ટ પર બનતી ઘટનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ લૂલી સાબિત થઇ છે, જેની પાછળ સીસીટીવી એકમાત્ર કારણ હોવાનું સામે આવ્યું છે. હજારો-કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રિવરફ્રન્ટ વોક-વે તેમજ ગ્રાઉન્ડમાં કોઇ પણ સીસીટીવી કેમેરા લગાવેલા નથી, જેના કારણે કોઇ પણ ગુનો બને છે ત્યારે પોલીસને હ્યુમન સોર્સની જરૂરીયાત ઊભી થાય છે. અવારનવાર પોલીસે તંત્ર પાસે સીસીટીવી કેમેરાની માગ કરી છે, પરંતુ હજુ સુધી લગાવાયા નથી, શું તંત્ર સીસીટીવી કેમેરા લગાવવા માટે કોઇ ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે.
રિવરફ્રન્ટ માટે અબજોનો ખર્ચો પણ તંત્ર આ કામ કરવાનું ભૂલી
થોડા દિવસ પહેલાં ઉસ્માનપુરા ખાતે આવેલા રિવરફ્રન્ટ ગાર્ડન પાસે ચાર યુવકો બેસીને ગેમ રમતા હતા ત્યારે ત્રણેક વાહનો પર છ લોકો આવ્યા હતા અને કોઇ પણ કારણ વગર ગેમ રમી રહેલા ચાર યુવકો પૈકી બે યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલો કરનાર યુવકો કોણ હતા તે હજુ સુધી ખબર પડી નથી ત્યારે કયા કારણોસર હુમલો થયો છે તે પણ હજુ સુધી જાણી શકાયું નથી. રિવરફ્રન્ટ પર થયેલા હુમલા બાદ એક વિવાદ છેડાયો છે કે જ્યારે કોઇ પણ ઘટના રિવરફ્રન્ટ પર બને છે ત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરવામાં લાચાર બની જાય છે.
રિવરફ્રન્ટ જેટલો સુંદર છે એટલો જ ખતનાક
રિવરફ્રન્ટ જેટલો સુંદર છે એટલો જ ખતનાક પણ બની રહ્યો છે, કારણ કે રિવરફ્રન્ટ પર આવતા લોકોનું મોનિટરીંગ કરવા માટે કોઇ પણ સીસીટીવી કેમેરા નથી. રિવરફ્રન્ટ પશ્ચિમ અને પૂર્વના વોક-વે તેમજ ગ્રાઉન્ડ પર કોઇ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને પૂરતા પુરાવા મળી રહે તેમજ અશ્લીલ ચેનચાળા કરતા યુવાનો અને જાહેરમાં બીભત્સ હરકતો કરતાં કપલો પર લગામ લગાવી શકાય તે માટે સીસીટીવી ખૂબ જ જરૂરી છે છતાંય હજુ સુધી કેમેરા લગાવ્યા નથી.
લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ પર જાળી લગાવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આત્મહત્યાના બનાવો રોકવા માટે લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ પર જાળી લગાવી દેવામાં આવી છે, જેના કારણે હવે લોકો સાબરમતી રિવરફ્ર્ન્ટ વોક-વે પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરે છે ત્યારે બીજી તરફ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ પર જાહેરમાં બીભત્સ હરકતો કરતાં કપલોને રંગે હાથ પકડવા માટેની કામગીરી પોલીસે શરૂ કરી છે. આવા અનેક કિસ્સાના કારણે રિવરફ્રન્ટ દિવસે ને દિવસે ગુનાખોરીને લઇને ખતરનાક બનતો જાય છે તેવામાં સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે સીસીટીવી લગાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દરખાસ્ત કરી હતી, જોકે તે હજુ સુધી પૂરી થઇ નથી. રિવરફ્રન્ટ પર થોડા થોડા સમયે હુમલા-છેડતી, મારામારી જેવા અનેક કિસ્સા બની રહ્યા છે.
પહેલાં એક વિકૃત હાલતમાં મહિલાની લાશ મળી હતી
ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પૂર્વમાંથી થોડા સમય પહેલાં એક વિકૃત હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી, જેનો ભેદ ઉકેલવામાં પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચને આંખે પાણી આવી ગયું હતું. સીસીટીવી કેમેરાના અભાવના કારણે ક્રાઇમ બ્રાંચે હ્યુમન સોર્સની મદદથી સમગ્ર ઘટનાનો ભેદ મહિનાઓ પછી ઉકેલી દીધો હતો. આ સિવાય આવી અનેક ઘટનાઓ છે, જે રિવરફ્રન્ટ પર બની રહી છે, પરંતુ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસને જોઇએ તેવી સફળતા મળતી નથી. ર૦૦ કરતાં વધુ સીસીટીવી કેમેરા રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમમાં લગાવવાની દરખાસ્ત મૂકી હતી, જોકે તંત્ર હજુ સુધી જાગતું નથી. રિવરફ્રન્ટમાં થોડા સમય પહેલાં એક મહિનાની બાળકીની લાશ નદીમાંથી મળી આવી હતી, જેમાં હજુ સુધી પોલીસ મૂળ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યારે જો સીસીટીવી કેમેરા હોત તો કદાચ ગણતરીના દિવસોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી શક્યો હોત. આ સિવાય રિવરફ્રન્ટ વોક-વે પરથી કોઇએ છલાંગ લગાવી કે તેને ધક્કો મારીને ફેંકી દીધો છે તેની પણ જાણ સીસીટીવી કેમેરા હોય તો થઇ શકે છે, કારણ કે જો કોઇએ ધક્કો મારીને કોઇને ફેંકી દીધો હોય તો પોલીસ તેને આત્મહત્યા ગણીને તપાસ બંધ કરી દેશે.
રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા ક્યારે લગાવાશે ?
આ સિવાય અશ્લીલ ચેનચાળા કરતા લોકો પર લગામ લાવવા માટે પણ સીસીટીવી કેમેરા જરૂરી છે ત્યારે પોલીસ જે અશ્લીલ ચેનચાળા કરતાં કપલો પાસેથી તોડ કરે છે તેના ઉપર પણ રોક આવી જશે. રિવરફ્રન્ટ પર ચારેક વર્ષ પહેલાં મોડી રાતે સ્પીડમાં વાહન પર સ્ટંટ કરવાની મજા યુવકને મોતની સજા સમાન સાબિત થઇ હતી. સુભાષિબ્રજ નીચે આવેલ અમૂલ પાર્લર પાસે રાતના ૧ર.૪પ વાગ્યે એક બાઇકસવારનું સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાતાં મોત નીપજ્યું હતું. માધુપુરાની ફૂલપુરાની ચાલીમાં રહેતો લક્ષ્મણ પરમાર ફુલ સ્પીડમાં બાઇક પર સ્ટંટ કરતો હતો તે સમયે બાઇક પરનો કાબૂ ગુમાવતાં તે સ્ટ્રીટ લાઇટને અથડાયો હતો, જેમાં તેનું મોત થયું હતું. આ ઘટના દરમિયાન થોડી જ વારમાં એક પોલીસવાન પસાર થઇ હતી. આ કિસ્સામાં પોલીસવાન કયા પોલીસ સ્ટેશનની હતી તે જાણી શકાયું નથી. ગુનાખોરી પર અંકુશ લાવવા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા ક્યારે લગાવાશે? તે હવે જોવાનું રહ્યું ?