ભાજપ નેતા ચેતન રામાણી દ્વારા વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓ ખેડૂતોની અરજી નથી સ્વિકારી રહ્યા. આ મામલે VTVના અહેવાલ બાદ મહેસૂલ મંત્રીએ નિવેદન આપ્યું કે જો તેમને ફરિયાદ મળશે તો ચોક્કસ કાર્યવાહી થશે
વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠ્યા હતા સવાલ
ભાજપ નેતા ચેતન રામાણીએ જ ઉઠાવ્યા હતા સવાલ
ખેડૂતોની અરજી નામંજૂર કરવાના કર્યા હતા આક્ષેપ
સમગ્ર મામલે મહેસૂલ મંત્રીએ આપ્યું મોટુ નિવેદન
રાજકોટમાં ભાજપ નેતા ચેતન રામાણીએ વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. જેમા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે રેવન્યૂ અધિકારીઓ ખોટી રીતે ખેડૂતો પાસેથી તોડ કરી રહ્યા છે. સાથેજ તેઓ અલગ અલગ ડોક્યૂમેન્ટની માગણી કરીને ખેડૂતોની અરજી નામંજૂર કરીને તેમને હેરાન કરી રહ્યા છે.
બે વર્ષથી ખેડૂતો ધક્કા ખાતા હોવાનો આક્ષેપ
સમગ્ર મામલે VTV દ્વારા રાજકોટની સરકારી કચેરીમાં રિયાલીટ ચેક પણ કરવામાં આવ્યું છે. જેમા સામે આવ્યું કે કચેરીમાં માખવાડ ગામના ખેડૂત છેલ્લા 2 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે. મેહુલ ભરવાડ નામના ખેડૂત છેલ્લા 2 વર્ષથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી તેમનું કામ નથી થઈ રહ્યું.
લલિથ કગથરાએ આપ્યું નિવેદન
રાજકોટમાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે. ભાજપના કારોબારી સભ્ય ચેતન રામાણીએ લખેલા પત્ર મામલે લલિત કગથરાએ કહ્યું કે, ખેડૂતો માટે આ મોટો પ્રશ્ન હોવાની વાત સાથે હું સહમત છે. ભ્રષ્ટાચારને આ લોકો શિષ્ટાચાર માનવા લાગ્યા છે. ચેતન રામાણીએ ઉઠાવેલો મુદ્દો સાચો છે. પૈસા વગર સરકારી કચેરીમાં કંઇપણ ચાલતું નથી.
ખેડૂતો હેરાન પરેશાન
ખેડૂતોએ તેમની અરજીઓ નામંજૂર થતી હોવાના આક્ષેપો કર્યા છે. સાથેજ ખેડૂતોનું એમ કહેવું છે કે પોતે ખાતેદાર હોવા છતા પણ અધિકારીઓ તેમને ધક્કા ખવડાવી રહ્યા છે. જેના કારણે રાજકોટના ખેડૂતોને ભારે હાલાંકી પડી રહી છે. સાથેજ ખેડૂતોમાં રોષનો માહોલ પણ ફેલાયેલો છે.
મેહસૂલ મંત્રી આવ્યા એકશનમાં
બીજી તરફ આ સમગ્ર મુદ્દે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ VTV સાથે વાતચીત કરી ત્યારે તેમણે એવું જણાવ્યું કે તેમની પાસે આ મુદ્દે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી આવી. સાથેજ તેમણે કહ્યું કે જો મારી પાસે આ વિષયને લઈને કોઈ પણ પ્રકારની માહિતી આવશે તો અમે ચોક્કસથી કાર્યવાહી કરીશું. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે અધિકારીઓને લગત પ્રશ્નોનોનો પણ તેઓ નિવારણ લાવશે.
CM સુધી પત્ર પહોચતા ઉઠ્યા ગંભીર સવાલ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સવાલ એ ઉઠી રહ્યા છે કે ભાજપના નેતાઓ તંત્રની કાર્ય પદ્ધતિથી કેમ નારાજ છે? સાથેજ એ સવાલ પણ ઉઠી રહ્યો છે. કે તંત્રની કામગીરીને લઈને છેક મુખ્યમંત્રીને રજૂઆત કેમ કરવી પડી. ઉપરાંત સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે સમગ્ર મુદ્દે ખેડૂતો સાથે અન્યાય ક્યારે અટકશે?
પ્રાંત અધિકારીનું નિવેદન
સમગ્ર મામલે પ્રાંત અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કે જે જમીનને લઈને આ વિવાદ થયો તે જમીન દિનેશ ઠુંગાની હતી અને તે જમીન વિનોદ રામાણી અને જયંતિ રામાણીએ લીધી હતી. આ મામલે પ્રાંત અધિકારીએ કહ્યું કે તેમની પાસે 60 વર્ષ જૂના પ્રમોલગેશનના ખાતેદાર હોવાના પુરાવાઓ માગ્યા તો તેમણે રજૂ નથી કર્યા. જેથી તેમણે જે ધક્કા ખવડાવવાના આક્ષેપો કર્યા છે. તે બધા આક્ષેપો પાયા વિહોણા તેમણે ગણાવ્યા. સાથેજ તેમણે કહ્યું કે પ્રમોલગેશન નોંધમાં અરજદારના પિતા-દાદા વારસાઈથી ખાતેદાર નથી વેચાણથી ખાતેદાર બનેલા છે.
ચેતન રામાણીએ શું કર્યા આરોપ ?
અધિકારીઓ ખોટી રીતે ક્વેરી કાઢી કરે છે હેરાન
અધિકારીઓ ખેડૂતોને ધક્કા ખવડાવી રહ્યાં છે
પહેલા ખેડૂત ખાતેદાર હોવા છતાં નથી અપાતું પ્રમાણપત્ર
જૂના રેકર્ડ નથી મળતા એટલે ખેડૂતો હેરાન થાય છે
2 હજાર રૂપિયા ફી ભરી ખેડૂત દોઢ વર્ષ સુધી હેરાન થાય છે
ખેડૂતોએ મને ફરિયાદ કરી કે અધિકારીઓ અમને હેરાન કરે છે
તોડ કરવાના હેતુથી હેરાન કરતા હોવાનું ખેડૂતોનું માનવું
ઓનલાઇન જોઇ શકાય છે તો કેમ હેરાન કરે છે?
ખેડૂતોને હેરાન કરી પ્રમાણપત્ર ન આપવાનું કારણ શું?
અધિકારીઓને કડક સૂચના આપવાની જરૂર
જૂના રેકર્ડના કારણે ખેડૂત હેરાન થતા હોય સૂચના આપવી જોઇએ