ગીર સોમનાથના ચીખલી ગામની 10 કિમીની હદમાં ચિકન પર પ્રતિબંધ
150થી વધુ મરઘાઓનું એક પછી એક મોત થયું હતું
ગીર સોમનાથના ચીખલી ગામે દેશી મરઘા ફાર્મમાં 10 મરઘાના રિપોર્ટમાં બર્ડફલૂ પોઝીટીવ આવ્યા બાદ જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે. સાથે 10 કિમીના વિસ્તારમાં માસ અને ચિકન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગીર સોમનાથ ઊનાના ચીખલી ગામે ભાવેશભાઈ પાચા નામના વ્યક્તિના દેશી મુરઘા ફાર્મમાં થોડા દિવસ પહેલા અચાનક મુરઘા ટપોટપ મરવા લાગ્યા હતા. અને મોતની સંખ્યા એક બે-નહીં પણ 150થી વધુ હતી.
જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના અધિકારીઓમાં દોડધામ
જે બાદ સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના પશુ ચિકિત્સકની ટીમો ચીખલી પહોંચી હતી. જ્યાં 13 જેટલા મુરઘાના સેમ્પલ પરીક્ષણ માટે ભોપાલ મોકલાયા હતા. જે પૈકીના 10 મુરઘાના રિપોર્ટ ગત રાત્રે પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી છે. જે બાદ ચીખલી ગામે આ મુરઘા ફાર્મની આસપાસમા અલગ-અલગ ફાર્મમાં 220 જેટલા મુરઘા હતા. જેમને જિલ્લા પશુ ચિકિત્સકની ટીમ વહેલી સવારે આવી આ તમામ મુરઘાઓને જમીનમાં દફન કર્યા.
નોનવેજ અને ચીકનના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો
બર્ડફલૂનો માણસમાં પ્રવેશ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા 0થી 10 કિલોમીટરના વિસ્તારમાં તમામ ચીકન, નોનવેજની હોટેલો બંધ કરાવી છે. અને ચિકન ખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોજે હવે બર્ડફલૂના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ચીખલી ગામ આસપાસના એક કિમીમીટરના વિસ્તારમા અન્ય પક્ષીઓ પર પણ બાજ નજર રાખવામાં આવશે. મુરઘાફાર્મના માલિક અને તેમના પરિવારને આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ દિવસે જ દવા આપી સુરક્ષિત રાખવા પ્રયાસ કર્યો હતો.
આ કારણોસર મરઘાઓમાં રોગનું સંક્રમણ લાગ્યું હોઈ શકે છે!
જોકે હાલ તો જિલ્લાના લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, મુરઘા ફાર્મ સુધી બર્ડફલૂ કેવી રીતે પહોંચ્યો. જેથી આશંકા સેવાઈ રહી છે કે, ઠંડા વાતાવરણમાં અન્ય ઈન્ફેક્ટેડ પક્ષીમાંથી હવા મારફતે આ ચેપ ફાર્મ સુધી પહોંચ્યો હોય શકે છે. હાલ ચીખલી અને આસપાસના વિસ્તારના તળાવોમાં મોટા પ્રમાણમા વિદેશી પક્ષીઓનો વસવાટ છે. જેના કારણે અહીં બર્ડફલૂ વકરે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે.