કોરોનાના કેસ વધતા અમદાવાદમાં રમાતી T-20 મેચો પ્રેક્ષકો વગર રમાડવાનો નિર્ણય લેવાયો છે ત્યારે હવે એડવાન્સ બુકિંગ થયેલા ટિકિટના રિફંડ અંગેની પણ સ્પષ્ટતા સામે આવી છે.
પ્રક્ષકોને પરત મળશે બાકીની 3 મેચની ટિકિટના પૈસા
ઓનલાઇન બુક કરનારને ખાતામાં જમા થશે પૈસા
ઓફલાઇન બુકિંગ કરાવનારને વિન્ડો પરથી મળશે રીફંડ
ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન માધ્યમથી બુકિંગ કરાવનારને ખાતામાં ટિકિટના પૈસા પરત મળશે જ્યારે ઓફલાઇન બુકિંગ કરાવનારને વિન્ડો પરથી રીફંડ આપવામાં આવશે. તો બુક માય શૉ રીફંડ માટે ટૂંક સમયમાં જાહેરાત બહાર પાડશે.
T-20 મેચો પ્રેક્ષકો વગર રમાશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી T-20 મેચને લઈ મોટો નિર્ણય કર્યો છે. આગળની T-20 મેચો પ્રેક્ષકો વગર રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મેચ જોવા પ્રેક્ષકો જઈ શકશે નહીં. કોરોનાના વધતા સંક્રમણને લઈ GCAએ નિર્ણય લીધો છે.
કોરોનાના કેસ વધતા GCAએ લીધો છે નિર્ણય
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ સામે 5 મેચોની T20 સીરિઝ રમાવાની છે. જેમાંથી 2 મૅચો રમાઈ ચૂકી છે અને સીરીઝ હાલમાં 1-1ની બરાબરીએ છે. કોરોના મહામારીની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચ રમાવાને લઈને પહેલેથી જ લોકો વચ્ચે ચર્ચા હતી કે હજારોની ભીડ ભેગી થાય છે તેનું શું. આવામાં મોડે-મોડે પણ GCAએ આ નિર્ણય લઈને યોગ્ય કર્યુ છે તેમ હાલ લોકો કહી રહ્યાં છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે AMC દ્વારા મહત્વનો નિર્ણય કર્યા છે. અને રાત્રીના 10 વાગ્યા પછી 8 વોર્ડમાં ખાણી-પીણી માર્કેટ સહિતના કેટલાક બજાર બંધ કરાયા છે. જેની ગણતરીની કલાકો બાદ ક્રિકેટને લઈ પણ નિર્ણય કરાયો છે.
અમદાવાદના 8 વોર્ડમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી માર્કેટ કરાશે બંધ
ગુજરાતમાં કોરોના હજુ લોકો વચ્ચે છે. ત્યારે અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે.