અમેરિકામાં મંદીને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે. છેલ્લાં 8 મહિનાથી હીરાઉદ્યોગની સ્થિતિ કથળી રહી છે. માંગમાં ઘટાડો થતાં એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પ્રોડક્શન પર કાંપ મુકવાનું શરૂ
માંગમાં ઘટાડો થતાં સુરત શહેરના અનેક હીરા યુનિટોએ શનિ-રવિ રજા રાખવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત કેટલાક હીરા યુનિટોમાં 2 કલાક સમય કાંપ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રફના ભાવ વધી રહ્યા છે બીજી તરફ તૈયાર હીરાના પુરતા ભાવ ન મળી રહ્યાં હોવાથી શહેરના હીરા વેપારીઓએ પ્રોડક્શન પર કાપ મુકવાનું શરૂ કરી દીધું છે.
હીરાના એક્સપોર્ટમાં 21.50%નો ઘટાડો થયો
GJEPC (જીજેઈપીસી)ના આંકડા અનુસાર, ડિસેમ્બર 2021માં 13,341 કરોડનું એક્સપોર્ટ થયું હતુ. જ્યારે ડિસેમ્બર 2022માં 10,472 કરોડનું એક્સપોર્ટ થયું છે. એટલે ડિસેમ્બર 2021ની તુલનામાં ડિસેમ્બર 2022માં હીરાના એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો થયો છે.
તૈયાર હીરા એક્સપોર્ટમાં 1.24 ટકાનો ઘટાડો
વર્ષ 2021માં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 1,33,737 કરોડના હીરાનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે વર્ષ 2022ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 1,32,075 કરોડના તૈયાર હીરા એક્સપોર્ટ થયા હતા. એટલે કે આમાં પણ 1.24 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ જેમ એન્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં પણ ઘટોડો જોવા મળ્યો છે.
અમેરિકાની મંદીની સુરતના હીરા ઉદ્યોગ સીધી અસર
આંકડા અનુસાર, વર્ષ 2021ના ડિસેમ્બર મહિનાની સરખામણીએ વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં જેમ એન્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં 11.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મંદીને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે.
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા
કોરોનાની સંભવિત લહેરની અસર સુરત હીરા ઉદ્યોગમાં થઈ હોવાની સ્થિતિ સર્જાઇ છે. વાત જાણે એમ છે કે, દિવાળી બાદ સુરતમાં રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો ઉઠી હતી. જોકે હવે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 24 જેટલી ફરિયાદો મળી છે, આ સાથે છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાનું સામે આવ્યું છે. વર્કર યુનિયનનું કહેવું છે કે, કતારગામમાં ફેક્ટરી બંધ કરી 300 રત્નકલાકારોને બેરોજગાર કરાયા છે.