પોલીસ ઘણી વખત કાયદા કાનૂન અને નિયમોને નેવે મૂકીને કામ કરતી હોય છે જેના કારણે પોલીસ વિભાગની છબી ખરડાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ ગ્રામ્યમાં આવેલા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનનો સામે આવ્યો છે.
ન્યાયાધીશે પોલીસ અધિકારીને ખખડાવ્યા
પોલીસ સ્ટેશનથી જામીન મળ્યા બાદ રિમાન્ડ માટે આરોપીને રજૂ કરાયો
જુગારના કેસમાં રિમાન્ડ માંગવા આવેલા PSI ના જજે રિમાન્ડ લઈ લીધા
જેમાં જુગારના કેસમાં મુખ્ય આરોપીને પોલીસ સ્ટેશનથી જામીન આપ્યા બાદ બીજા આરોપીને જજના ઘરે રજૂ કરી રિમાન્ડ માગતાં વિવાદ સર્જાયો છે. જુગારના કેસમાં રિમાન્ડ માગવા માટે આવેલા પીએસઆઇના જજે રિમાન્ડ લઇ લીધા હતા અને કોર્ટની બદલે જજના ઘરે હાજર કરવા મામલે નોટિસ પણ ઇશ્યૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આપી દીધો છે ચૂકાદો
સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે સાત વર્ષથી નીચેની સજાની જોગવાઇ ધરાવતો ગુનો હોય તો પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવા પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓને આ ચુકાદો હજુ સુધી મગજમાં ઊતર્યો નથી. અમદાવાદ જિલ્લાની વિવેકાનંદનગર પોલીસે થોડાક દિવસો પહેલાં આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમતા એક નીલેશ ઉર્ફે ઘંટી પંડ્યાની જુગારના કેસમાં ધરપકડ કરી હતી.
પોલીસ સ્ટેશનથી જામીન આપી દીધા
જેમાં તેને પોલીસ સ્ટેશનથી જામીન આપી દીધા હતા. આ કેસમાં વિવેકાનંદનગર પોલીસે મોન્ટુ પટેલની ધરપકડ કરી હતી અને ૨૪ કલાક લોકઅપમાં રાખ્યા બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.આર.વાઘેલાના ઘરે રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગ કરી હતી.
મેજિસ્ટ્રેટ બી.આર.વાઘેલાએ આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા
મેજિસ્ટ્રેટ બી.આર.વાઘેલાએ આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને તેને જામીન આપી દીધા હતા. જુગારના કેસમાં પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવાના હોવા છતાંય પોલીસે આરોપીને મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. જજે પીએસઆઇ જે.બી.જયસ્વાલને પૂછ્યું કે ઉપરી અધિકારીઓ તેમજ સરકારી વકીલ અને બીજા દસ લોકોને પૂછીને આવો કે જુગારના કેસમાં રિમાન્ડ હોય ખરા...જજે પૂછેલા પ્રશ્નનો જવાબ પીએસઆઇ આપી ન શકતાં તેમનાે પસીનાે છૂટી ગયાે હતાે.
આ સિવાય કોર્ટે સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ૧૨ થી ૨ ના સમય દરમિયાન આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તેમ છતાંય પીએસઆઇએ આરોપીને જજના ઘરે સાંજે સાડા ચાર વાગે રજૂ કર્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ નહીં કરીને જજના ઘરે રજૂ કરતાં પીએસઆઇને નોટિસ ઇશ્યૂ કરી છે અને ખુલાસો કરવાનો આદેશ કર્યો છે.