મોદી સરકારને સત્તામાં આવે 8 વર્ષ પુરા થયા છે અને આ પ્રસંગે ભાજપે હિમાચલના શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કર્યું છે.
મોદી સરકારને સત્તામાં 8 વર્ષ પુરા થયા
ભાજપે હિમાચલના શિમલામાં કર્યુ મોટા કાર્યક્રમનું આયોજન
પ્રધાનમંત્રી હિમાચલના લાભાર્થીઓ સાથે કરશે વાત
ખેડૂતોના ખાતામાં જમા કરશે કિસાન નિધિનો 11મો હપ્તો
ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરશે 21,000 કરોડ
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરશે, 11મા હપ્તા તરીકે પીએમ મોદી ખેડૂતોના ખાતામાં 21,000 કરોડની રકમ ટ્રાન્સફર કરશે. મંગળવારે વડાપ્રધાન મોદી શિમલાના પ્રવાસે જવાના છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના 'ગરીબ કલ્યાણ સંમેલન'માં ભાગ લેશે. પીએમઓ તરફથી મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં પીએમ મોદી 9 અલગ-અલગ મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરશે.
ખેડૂતોના ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે પીએમ મોદી
પીએમઓ અનુસાર આ વાતચીતના માધ્યમથી પ્રધાનમંત્રી લાભાર્થીઓ પાસેથી ફીડબેક લેશે. આ સંમેલનમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યોના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો પણ સામેલ થશે. આ જ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી 'કિસાન સન્માન નિધિ'ના 11મા હપ્તાનું વિમોચન પણ કરશે. લગભગ 10 કરોડ ખેડૂતોના ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
પીએમ મોદી મોટી રેલીને સંબોધિત કરશે
પીએમ મોદી એક મોટી રેલી કરશે જેમાં 50 હજાર લોકો ભાગ લે તેવી સંભાવના છે. આ રેલી રિજ રોડ પર યોજાશે. આ રેલીમાં ભાજપના કાર્યકરો સાથે કેન્દ્રની 17 યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ દેશની રાજનીતિ બદલી નાખી- નડ્ડા
આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની રાજનીતિ બદલી નાખી છે. અમે 2014 થી ઘણી લાંબી મજલ કાપી છે. આજે, અમારી પાસે એક સક્રિય અને પ્રાયોજિત સરકાર છે. "વર્તમાન સરકારે ભારતની સંસ્કૃતિને સુરક્ષિત કરી છે.
પીએમ મોદીની વિદેશનીતિ લોકોની સેવા માટે સમર્પિત
મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવાના અવસર પર જયશંકરે ટ્વિટમાં કહ્યું કે, "પીએમ મોદીની જનકેન્દ્રિત વિદેશ નીતિના 8 વર્ષ. તે આપણા વિકાસ, સુરક્ષા અને સંસ્કૃતિ માટે મુત્સદ્દીગીરી છે. આ એક કૂટનીતિ છે જે તેના લોકોની સેવા માટે સમર્પિત છે." તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન પાસપોર્ટ વિતરણમાં ધરખમ ફેરફારો થયા હતા અને તેને ઝડપી, ભ્રષ્ટાચાર મુક્ત અને લોકો માટે સરળ બનાવ્યું હતું.