વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદના સોજીત્રામાં સભા સંબોધી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાને સોજીત્રામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસને સરદાર પટેલ સામે પણ વાંધો છેઃ PM
કોંગી નેતાઓ મત માંગવા આવે એટલે પૂછજો આ સવાલોઃ PM મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરુ થયું છે. 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને આવતીકાલે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી દિવસ-રાત જોયા વિના મતદારોને પોતાની તરફ કરવા માટે દિગ્ગજ નેતાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે. એવામાં આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ બાદ આણંદના સોજીત્રા ખાતે પીએમ મોદીની જાહેર સભા યોજાઈ હતી.
"આણંદ આવીએ એટલે આનંદ આવે"
PM મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ભાઈઓ-બહેનો આણંદની ધરતી પર આવીએ ત્યારે ખાલી આનંદ આવે એવું નહી, આણંદ આવી એટલે આનંદ તો આવે જ. આ એ પવિત્ર ધરતી છે સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો હતો. રાજા-રજવાડાઓને એક કર્યા હતા. મારું સૌભાગ્ય છે કે વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું અને આખી દુનિયામાં સરદાર સાહેબનું નામ લોકજીભે ચર્ચામાં ચઢ્યું.
કોંગ્રેસને સરદાર સાહેબ સામે વાંધો: PM
PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને સરદાર સાહેબ સામે વાંધો અને દેશની એકતા સામે પણ વાંધો હતો, કારણ કે તેનું આખું રાજકારણ ભાગલા કરો અને રાજ કરોનું હતું. જ્યારે સરદાર સાહેબનું દરેકને એક કરવાનું હતું. એટલે સરદાર સાહેબને ક્યારેય પોતાના ન ગણ્યા.
કોંગ્રેસના નેતાઓ મત માંગવા આવે એમને આ પ્રશ્નો પૂછજો: નરેન્દ્ર મોદી
વડાપ્રધાને કહ્યું કે, આ કોંગ્રેસ નેતાઓ મત માંગવા આવે ત્યારે તેમને આ પ્રશ્નો પૂછજો કે, આ સરદાર સાહેબ કોંગ્રેસમાં હતા? બીજો પ્રશ્ન એ પૂછજો કે આ સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું હતું? અને ત્રીજો પ્રશ્ન પૂછજો કે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ક્યારેય ગયા છો? વડાપ્રધાને કહ્યું, આ મોદીએ સરદાર સાહેબનું પૂતળું બનાવ્યું એટલે સરદાર સાહેબ સામે પણ તમને આભડછેટ. આવી કોંગ્રેસને સજા કરવી પડે કે ન કરવી પડે. આ વખતે આણંદ જિલ્લો એકતા બતાવીને આ સરદાર સાહેબનું અપમાન કરનાઓને સજા કરશે કે નહીં કરે.
કોંગ્રેસના કારણે આપણું ગુજરાત કમજોર થતું ગયુંઃ PM
વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં એક જાતને બીજી જાત જોડે, શહેરને ગામડા સાથે, ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે લડાવ્યા અને ભાગલા પાડ્યા. એના કારણે આપણું ગુજરાત કમજોર થતું ગયું. આપને જણાવી દઈએ કે, આ પહેલા પીએમ મોદીએ કાંકરેજમાં સભા સંબોધી હતી.
કાંકરેજમાં પણ કોંગ્રેસ પર કર્યા હતા આકરા પ્રહાર
સરદાર સરોવર ડેમને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, જે લોકોએ સરોવરના ડેમ ન બને એના માટે અનેક પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા. જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો હતો, કોર્ટ-કચેરીઓમાં લઈ ગયા હતા, એમના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કરે છે. જેણે પાણી રોક્યું હોય એ પાપને માફ કરાય? બનાસકાંઠાને તરસ્યું રાખ્યું એના માટે આ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે, પરંતુ તમે ચૂંટણી આવે એટલે ભૂલી જાવ છો. આ વખતે તો નહીં ભૂલોને?