ઓક્સફેમના સીઈઓ અમિતાભ બેહરે દાવોસ ખાતે જણાવ્યું હતું કે તમામ દેશની સરકારોએ આ વિષમતાના સંકટ સામે જાગવું જોઈએ અને તેને દૂર કરવા માટે જરૂરી તમામ ઉપાય કરવા જોઈએ.
ઓક્સફેમ દ્વારા આ રિપોર્ટમાં ભારતને લઇ જણાવાયું હતું કે અહીંના ૬૩ ધનકુબેર પાસે દેશના કુલ બજેટથી વધુ સંપત્તિ છે. આ અહેવાલમાં વર્ષ ર૦૧૮-૧૯ના બજેટનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જે ર૪,૪ર,ર૦૦ કરોડ રૂપિયાનું છે.
તાજેતરમાં દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે રજૂ કરાયેલ ઓક્સફેમ રિપોર્ટે આપણા ભારત સહિત સમગ્ર વિશ્વમાં અમીરો અને ગરીબો વચ્ચે કેટલી વિષમતા પ્રવર્તે છે તેનો ચિતાર રજૂ કર્યો હતો. આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમીરો અને ગરીબો વચ્ચે ઝડપથી ખાઇ વધી રહી છે અને વિષમતા ચરમસીમાએ છે. દેશ અને દુનિયા બંને સ્તરે વધતી જતી વિષમતા અંગે ધ્યાન ખેંચનાર આ રિપોર્ટે બધાંની આંખ ઉઘાડી નાખી છે. ઓક્સફેમ ઇન્ડિયાના વિષમતા રિપોર્ટ- ર૦ર૦માં જણાવાયું છે કે વિષમતાની નકારાત્મક અસર મુખ્યધારા સ્તર પર માન્ય છે. તેમ છતાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઇ ઓછી થઇ રહી નથી.
આ વિષમતાને દૂર કરવા માટે પ્રયાસો અને કાર્યવાહી હાથ ધરવી જોઇએ તે થતી નથી. આ રિપોર્ટની મહત્ત્વપૂર્ણ હકીકત એ છે કે વૈશ્વિક નાણાકીય સંકટના દોરમાં પણ અબજોપતિની સંખ્યા બમણી થઇ ગઇ છે અને દર બે દિવસે એક નવા અબજપતિનું આગમન થઇ રહ્યું છે. વિષમતાનું સાતત્ય આર્થિક સ્થિરતા અને સમાવેશક આર્થિક વિકાસની શક્યતા પર પ્રતિકૂળ અસર પડે છે.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતના એક ટકા અમીરો પાસે દેશના કુલ ૯પ.૩ કરોડ લોકો કરતાં ચાર ગણી વધુ સંપત્તિ છે એટલે કે ભારતના ધનકુબેરો પાસે એટલી સંપત્તિ છે કે તેનાથી દેશના એક સંપૂર્ણ વર્ષનું આખું બજેટ બની જાય. વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)ની વાર્ષિક બેઠકમાં જારી કરવામાં આવેલ ઓક્સફેમે પોતાના રિપોર્ટ ‘ટાઇમ ટુ કેર’માં જણાવ્યું હતું કે વિશ્વના ર૧પ૩ અબજોપતિ પાસે ૪.૬ અબજ લોકો (વિશ્વની કુલ વસ્તીના ૬૦ ટકા)ની તુલનાએ વધુ સંપત્તિ છે.
ઓક્સફેમ દ્વારા આ રિપોર્ટમાં ભારતને લઇ જણાવાયું હતું કે અહીંના ૬૩ ધનકુબેર પાસે દેશના કુલ બજેટથી વધુ સંપત્તિ છે. આ અહેવાલમાં વર્ષ ર૦૧૮-૧૯ના બજેટનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જે ર૪,૪ર,ર૦૦ કરોડ રૂપિયાનું છે.
રિપોર્ટમાં જણાવાયું હતું કે સમગ્ર વિશ્વમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઇ સતત વધતી જાય છે. અમીરો વધુ ને વધુ અમીર થઇ રહ્યા છે. મોટા ભાગના અમીરોની સંપત્તિ એક દાયકામાં બમણી થઇ ગઇ છે. જ્યારે સંયુક્ત રીતે જોઇએ તો તેમની સંપત્તિ છેલ્લાં એક વર્ષમાં થોડી ઘટી છે.
ટાઇમ ટુ કેર રિપોર્ટ રજૂ કરનાર ઓક્સફેમ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બેહરે જણાવ્યું હતું કે ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર સતત વધતું રહ્યું છે અને અસમાનતા ઘટે એવી નીતિ જાહેર કર્યા વગર આ અંતર ઘટાડી શકાશે નહીં. પાંચ દિવસ ચાલનારી વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં આવક અને લૈંંગિક અસમાનતા પર પણ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત આ બેઠકમાં રજૂ કરવામાં આવેલ ગ્લોબલ રિસ્ક રિપોર્ટમાં વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરાઇ છે.
આ રિપોર્ટની એક વધુ ચોંકાવનારી હકીકત એ છે કે ટોપ સીઇઓની માત્ર ૧૦ મિનિટની કમાણી ઘરગથ્થુ કામ કરતી મહિલાની વર્ષભરની આવક કરતાં વધુ છે. ઘરે કામ કરતી મહિલાને આઇટી કંપનીના ટોપ સીઇઓના એક વર્ષના પગાર જેટલી કમાણી કરતાં રર,ર૭૭ વર્ષ લાગે. આઇટી કંપનીના સીઇઓ પ્રતિસેકન્ડ રૂ.૧૦૬ની ગણતરીએ ૧૦ મિનિટમાં એટલી કમાણી કરી લે છે જેટલી કમાણી કરતાં ઘરગથ્થુ કામ કરતી મહિલાને એક વર્ષ લાગે એટલું જ નહીં, રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વમાં મહિલાઓ અને છોકરીઓ દરરોજ ૩.ર૬ અબજ કલાક કોઇ પણ જાતના પેમેન્ટ વગર કામ કરે છે. ઓક્સફેમના સીઇઓ અમિતાભ બેહરે દાવોસ ખાતે જણાવ્યું હતું કે તમામ દેશની સરકારોએ આ વિષમતાના સંકટ સામે જાગવું જોઇએ અને તેને દૂર કરવા માટે જરૂરી તમામ ઉપાય કરવા જોઇએ.