મધ્યપ્રદેશની સરકાર પર મહાસંકટનાં વાદળો છવાઈ ગયા છે. કોંગ્રેસના મજબુત નેતા સિંધિયાએ રાજીનામું આપી દેતા હવે કમલનાથની સરકાર પડવી નિશ્ચિત છે. સિંધિયા પરિવારનું દાયકાઓથી મધ્યપ્રદેશમાં પ્રભુત્વ રહ્યું છે. વિજયારાજે સિંધિયાનાં સમયથી રાજનીતિમાં સિંધિયા પરિવારનો ડંકો વાગે છે. ત્યારે જો જ્યોતિરાદિત્ય ભાજપમાં સામેલ થાય તો વિજયારાજે સિંધિયાનું સ્વપન પૂર્ણ થશે! આવો જાણીએ સિંધિયા પરિવાર વિશે...
જનસંઘમાં સામેલ થયા વિજયારાજે સિંધિયા
માધવરાય સિંધિયા પોતાની જ માતાથી છેડો ફાડી કોંગ્રેસમાં સામેલ થઇ ગયા
મધ્યપ્રદેશમાં રાજનીતિનાં મહાભારત બાદ આખરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું. તે ખૂબ જલ્દી ભાજપમાં સામેલ પણ થઇ શકે છે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ તેમણે સોનિયા ગાંધીને રાજીનામું સોપ્યું. જ્યોતિરાદિત્ય સિંધિયા જો ભાજપમાં સામેલ થાય તો તેમના દાદી વિજયારાજે સિંધિયાનું સ્વપ્ન સાકાર થશે. કારણ કે વિજયારાજે સિંધિયા જનસંઘમાં સંસ્થાપક સદસ્યોમાંથી એક છે અને તેમની ઈચ્છા હતી કે તેમનો પરિવાર ભાજપમાં સામેલ થઇ જાય.
ગ્વાલિયર પર રાજ કરતા વિજયારાજે સિંધિયાએ 1957માં કોંગ્રેસથી રાજનીતિની શરૂઆત કરી. પરંતુ દસ વર્ષ બાદ તે જનસંઘ સાથે જોડાઈ ગયા. વિજયારાજે સિંધિયાની રાજનીતિમાં પકડ એટલી મજબુત હતી કે 1971માં ઇન્દિરા ગાંધીની લહેર છતાં ત્રણ બેઠક જીતવામાં તે સફળ રહ્યા.
ગુના લોકસભા બેઠક પર વર્ષોથી સિંધિયા પરિવારનું એકહથ્થુ શાસન ચાલતું આવ્યું છે. જ્યોતિરાદિત્યનાં પિતા માધવરાય સિંધિયા 26 વર્ષની વયે સાંસદ બન્યા પરંતુ ઈમરજન્સી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ બન્યા.1996માં માધવરાય સિંધિયાએ કોંગ્રેસમાંથી બળવો કરી પોતાની નવી પાર્ટી બનાવી દીધી. જોકે બાદમાં પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં જ વિલય કરાવ્યું.
બીજી બાજુ માધવરાય સિંધિયાની બહેન વસુંધરા રાજે અને યશોધરા રાજે સિંધિયાએ પણ રાજનીતિમાં એન્ટ્રી મારી. વસુંધરા રાજે સિંધિયાએ ભાજપ જોઈન કર્યું અને રાજસ્થાનનાં સીએમ પણ બન્યા.
વર્ષ 2001માં માધવરાય સિંધિયાનું મૃત્યુ થઇ ગયું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પિતાની વિરાસત સંભાળી અને કોંગ્રેસના મજબુત નેતા બન્યા રહ્યા. ગુના બેઠક પર જથી જ તેઓ સાંસદ બન્યા. વર્ષ 2002થી 2019 સુધી સિંધિયા અજેય રહ્યા પરંતુ 2019માં ગુના બેઠક પરથી તેઓ હારી ગયા.
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશનાં સીએમ બની ન શક્યા. મધ્યપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષનું પદ ન મળતા સિંધિયાનો બળાપો વધ્યો.