આગામી ૨ સપ્ટેમ્બરથી અમદાવાદમાં ધોરણ-૬થી ૮ના વર્ગ શરૂ થવાના છે વેક્સિનેશન જ એકમાત્ર અસરકારક ઉપાય, સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ વિદ્યાર્થીને વેક્સિન
સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ વિદ્યાર્થીને વેક્સિન
વેક્સિનેશન જ એકમાત્ર અસરકારક ઉપાય
વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું
આગામી ૨ સપ્ટેમ્બરથી અમદાવાદમાં ધોરણ-૬થી ૮ના વર્ગ શરૂ થવાના છે. ધોરણ-૯થી ૧૨ના વર્ગ તો ધમધમતા થયા છે, તેમ છતાં વાલીઓમાં કોરોનાની સંભવિત થર્ડ વેવની દહેશત હોઈ હજુ વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ વધારો થયો નથી,
સપ્ટેમ્બરના અંત સુધીમાં આ અભિયાન ચાલશે
જોકે મ્યુનિ. સત્તાવાળાઓએ જે તે વેક્સિનેશન સેન્ટર પર રાબેતા મુજબ સામાન્ય લોકો માટે વેક્સિનેશન તો ચાલુ જ રાખ્યું છે, પરંતુ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓના જીવન સામે તોળાતા જોખમને દૂર કરવા ત્રણ દિવસથી શાળા-કોલેજોને આવરી લેનારું વિશેષ વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ સલામત રીતે શાળા-કોલેજમાં અભ્યાસ કરી શકે. આ મિશન હેઠળ મ્યુનિ. તંત્ર દ્વારા આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણ સામે સુરક્ષિત રાખવાનો પ્લાન ઘડી કઢાયો છે.
વેક્સિનેશન જ એકમાત્ર અસરકારક ઉપાય
આમ તો કોરોનાનાે ચેપ લાગવા પર તેનાથી બચવા દુનિયાભરમાં કોઈ દવા શોધાઈ નથી. અત્યારે તો વેક્સિનેશન જ એકમાત્ર અસરકારક ઉપાય છે. ગત તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી અમદાવાદમાં કોરોનાનું વેક્સિનેશન હાથ ધરાયું છે.પ્રારંભમાં હેલ્થ વર્કર્સને કોરોનાની વેક્સિનનો ડોઝ આપીને તેમને સુરક્ષિત કરાયા હતા. ત્યાર બાદ ફ્રન્ટલાઇન વર્કર્સ પછી સિનિયર સિટીઝન એમ તબક્કાવાર વેક્સિનેશન હાથ ધરાયા બાદ હવે તો જે તે વેક્સિન સેન્ટર પર સ્પોટ રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે.જે તે નાગરિક તેમના અપાયેલા ફર્સ્ટ ડોઝના પ્રમાણપત્ર તેમજ આધારકાર્ડની ઝેરોક્સ લઈને કોવિશિલ્ડમાં ૮૪ દિવસ અને કોવેક્સિનમાં ૨૮ દિવસ પૂરા થયા બાદ નજીકના સેન્ટરમાં જઈને વેક્સિનનો બીજો ડોઝ મેળવી શકે છે. તે માટે મ્યુનિ. તંત્રના બીજા ડોઝ માટેના એસએમએસની પણ રાહ જોવાની જરૂર નથી. આના કારણે સામાન્ય લોકોના વેક્સિનેશનમાં હવે ઝડપ આવી છે.
વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું
બીજી તરફ મ્યુનિ. સત્તાવાળાઓએ ગત તા. ૨૬ ઓગસ્ટથી ખાસ વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે, જેમાં કમિશનર મૂકેશકુમારના આદેશથી જે તે અર્બન હેલ્થ સેન્ટરના ચાર પેરામેડિકલ સ્ટાફની મેડિકલ ટીમ નજીકનાં શાળા-કોલેજોના તમામ ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ જેવા કે પ્રોફેસરો, શિક્ષકો, ક્લેરિકલ સ્ટાફ, પટાવાળા, વોચમેન વગેરે તેમજ તેમનાં પરિવારજનો અને જે તે શાળા-કોલેજમાં ભણતા ૧૮ વર્ષથી ઉપરની વયના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કોવિન સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન કરી વેક્સિન અપાઈ રહી છે.
શૈક્ષણિક સંસ્થામાં મેડિકલ ટીમ જઈને વેક્સિનેશન કરે છે
આમાં પણ તંત્ર દ્વારા બે દિવસથી વ્યવસ્થિત રીતે શાળા-કોલેજની યાદી પ્રસિદ્ધ કરાઈ રહી છે. યાદી મુજબનાં શાળા-કોલેજ અને શૈક્ષણિક સંસ્થામાં મેડિકલ ટીમ જઈને વેક્સિનેશન કરે છે. આજે જાહેર કરાયેલી યાદીમાં શહેરની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત આઇઆઇએમ અને સેપ્ટ યુનિવર્સિટીનો સમાવેશ કરાયો છે. પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં આવેલી આઇઆઇએમ ખાતે ન્યૂ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર અને સેપ્ટ યુનિવર્સિટીમાં નવરંગપુરા અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમ દ્વારા વેક્સિનેશન શરૂ કરાયું છે.
સપ્ટેમ્બરના અંત સુધીમાં આ અભિયાન ચાલશે
આજે પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં કુલ ૫૮ શાળા-કોલેજ અને શૈક્ષણિક સંસ્થા સામેલ છે કે જ્યાં વેક્સિનેશન કરાશે. આ યાદીમાં નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ, કુબેરનગરની શારદા ગર્લ્સ માધ્યમિક સ્કૂલ, ઠક્કરનગરની સરદાર પટેલ સ્કૂલ, નવરંગપુરાની સી.એન. વિદ્યાલય, રામોલની સ્વામિનારાયણ સ્કૂલ, થલતેજની ખ્યાતિ નર્સિંગ કોલેજ, ઝેબર સ્કૂલ, ચાંદલોડિયાની શાયોના વિદ્યાલય, દરિયાપુરની એફ.ડી. હમિદિયા સ્કૂલ, રાણીપમાં ગીતા વિદ્યાલય, દાણીલીમડામાં કાયનાત સ્કૂલ, એમ.એસ. પબ્લિક સ્કૂલ, સરખેજમાં ગુલશન મેહર, મક્તમપુરામાં ફૈઝ-એ-આમ પ્રાઇમરી સ્કૂલ અને સૈજપુરમાં પુલકિત વિદ્યાલય વગેરેનો સમાવેશ થાય છે.આમ તો તા. ૫ સપેટમ્બરના શિક્ષકદિન પહેલાં સ્કૂલ-કોલેજોમાં મિશન વેક્સિનેશનનો કાર્યક્રમ આટોપી લેવાનો હતો, પરંતુ તે અશક્ય હોઈ સપ્ટેમ્બરના અંત સુધીમાં આ અભિયાન ચાલશે.