રાજસ્થાન વિધાનસભામાં સચિન પાયલોટની બેઠકને લઈને વિવાદ થઈ શકે છે. પાર્ટીમાં પાછા ફર્યા બાદ સચિન પાયલોટની બેઠક વિધાનસભામાં બદલાઈ ગઈ છે. તેમને અપક્ષ ધારાસભ્યો સાથે બેસાડવામાં આવ્યા હતા. સચિન પાયલોટ અને તેના સમર્થક ધારાસભ્યો ગેલેરીમાં ખુરશી પર બેઠા હતા.
સચિનન પાયલોટને ન મળી વિધાનસભામાં સીટ
ખુરશી લઈને સમર્થક MLA સાથે બેઠા ગેલેરીમાં
હું કવચ અને ઢાલ બનીને સરકારની રક્ષા કરીશ, પાયલોટનું વિધાન
ઘરવાપસી બાદ હજી પણ જાણે કે સચિન અને ગેહલોત વચ્ચેનું મનદુ:ખ સમાપ્ત ન થયું હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ - પ્રિયંકા બાદ સચિને ગઈ કાલે અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી જેના બાદ એવી આશા બંધાઈ હતી કે હવે પ્રદેશ સરકારને કોઈ વાંધો નહીં આવે, જો કે બીજા જ દિવસે આ તસવીરમાં તિરાડ પડી હોય એવું લાગી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સચિન પાયલોટ કેમ્પને જાણી જોઈને અલગ કરવામાં આવ્યો છે.
શું બોલ્યા સચિન વિધાનસભામાં?
ભાજપે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન એસેમ્બલીમાં બોલતા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે કહ્યું કે ''આજે જ્યારે હું ગૃહમાં આવ્યો ત્યારે મેં જોયું કે મારી બેઠક પાછળ રાખવામાં આવી છે. હું છેલ્લી હરોળમાં બેઠો છું. હું રાજસ્થાનથી આવ્યો છું, જે પાકિસ્તાનની સરહદ પર છે. એ સનાતન સત્ય છે કે સૌથી મજબૂત સૈનિકને સરહદ પર તૈનાત કરાય છે. હું પણ સૈનિક છું, તેથી જ્યાં સુધી હું અહીં બેઠો છું ત્યાં સુધી સરકાર સલામત છે''
બદલાઈ ગઈ છે સચિન એન્ડ કંપનીની બેઠક વ્યવસ્થા
અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાની બાજુમાં 127 નંબરની બેઠક પર સચિન પાયલોટ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી. સચિન પાયલોટની સાથે પૂર્વ પ્રધાનો વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીણાની બેઠક વ્યવસ્થા પણ બદલાઇ છે. વિશ્વવેન્દ્રસિંહ છેલ્લી હરોળની 14 મી બેઠક પર બેઠા હતા, જ્યારે રમેશ મીણા પણ પાંચમી હરોળની 54 મી બેઠક પર બેઠા હતા. કોરોનાને કારણે, ધારાસભ્ય દૂર-દૂર બેઠેલા હોય શકે છે. આ માટે વિધાનસભામાં કેટલીક વધારાની બેઠકો પણ લગાવવામાં આવી હતી. વિધાનસભાના ગૃહમાં 45 થી વધુ વધારાની બેઠકો સ્થાપિત કરવામાં આવી છે. સોફા અને ખુરશીઓને લોખંડની સાંકળોથી બાંધવામાં આવ્યા હતા.
સચિન પાયલોટે સ્પીકરને કહ્યું કે,..
રાજસ્થાન વિધાનસભાના સમયપત્રક મુજબ મંત્રી શાંતિકુમાર ધારીવાલ અશોક ગેહલોતની બાજુની બેઠક પર બેઠા હતા. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પોતાની બેઠકના ફેરફાર અંગે પ્રતિક્રિયા આપતાં પાયલોટે સ્પીકરને ઉદ્દેશીને કહ્યું કે, "તમે મારી બેઠક બદલી. પહેલાં જ્યારે હું આગળ બેસતો ત્યારે હું સલામત અને સરકારનો ભાગ હતો. મને આશ્ચર્ય થયું કે અહીં મારી બેઠક કેમ રાખવામાં આવી છે? પછી મેં જોયું કે તે બાહરી છે. મને સીમા પર મોકલવામાં આવ્યો છે. જે સૌથી મજબૂત છે.
કવચ અને ઢાલ બનીને ઊભો રહીશ, સચિનનું વિધાન..
સચિન પાયલોટે કહ્યું કે સમય જતાં બધી બાબતો જાહેર થઈ જશે, જે કાંઈ બોલવાનું હતું તે અમે અમારા ડોક્ટરને કહી દીધું છે અને તે જ ઈલાજ કરી શકશે. જો તમે આજે સદનમાં આવો છો, તો તમારે કહેવા - સાંભળવાની વાતોને બહાર છોડી આવવી પડશે. સરહદ પર ગમે તેટલું ફાયરિંગ ભલેને થાય, હું હમેશા કવચ અને ઢાલ બનીને ઊભો રહીશ.