ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યાં તેઓએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. ગાંધીનગરના રાજભવનમાં સાંજે મળેલી બેઠકમાં ટ્રસ્ટીઓએ સોમનાથ મંદિરના શિખરને સોનાથી મઢવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
આ બેઠકમાં મંદિરના વિકાસના કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી
આ બેઠકમાં આ સોમાનથ યાત્રાધામના પૂજારીઓના દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન કરવાનો અને યાત્રાળુઓ માટે રહેવા અને ભોજનની સારી વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે સોમનાથ મહાદેવ મંદિરની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી અને સંપૂર્ણ પ્લાન બનાવવા માટે આર્કિટેક બિમલ પટેલ પાસેથી માસ્ટર પ્લાન તૈયાર કરવાનું પણ નક્કી કરાયું હતું. બેઠકમાં પાર્વતી મંદિર, સફારી સર્કલથી રામ મંદિર સુધીના રસ્તા, ત્રિવેણી ઘાટના વિકાસ, યાત્રાળુ પ્લાઝા વગેરેના કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જાન્યુઆરી 2021માં PM મોદીને ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2021માં મોદીને ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે યોજાયેલી બેઠકમાં PM મોદી સહિત અન્ય ટ્રસ્ટીઓમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ટ્રસ્ટની જે.ડી પરમાર, ગુજરાતના ભૂતપૂર્વ અધિકારી પી.કે લહેરી અને ઉદ્યોગપતિ હર્ષવર્ધન નિયોટિયાનો સમાવેશ થાય છે.ટ્રસ્ટના સચિવ લહેરીએ જણાવ્યું કે,અમે ગર્ભગૃહને સોનાથી જડવાનું કામ પૂર્ણ કરી લીધું છે.
આ બેઠકમાં અડવાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી
અંબાજી મંદિરની જેમ સોમનાથ ટ્રસ્ટે હવે સોમનાથ મંદિરની ટોચને સંપૂર્ણપણે સોનાથી મઢવાનો નિર્ણય લીધો છે. રાજભવન ખાતેની બેઠકમાં મોદી, શાહ, લાહિરી હાજર રહ્યા હતા, જ્યારે અડવાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી.