વડોદરાના મેયર કેયુર રોકડિયાએ 15 દિવસમાં ઢોરના ત્રાસને દૂર કરવાનો નિર્ધાર કર્યો છે ત્યારે ઢોર પકડવાનું અભિયાન મોટા પાયે શરૂ થયું છે.
VTVના રખડતા ઢોરના અહેવાલ બાદ વડોદરામાં તંત્ર જાગ્યું
પોલીસ અને કોર્પોરેશનની 5 ટીમ દ્વારા રખડતાં ઢોર પકડવાનું અભિયાન
15 દિવસમાં ઢોરના ત્રાસને દૂર કરવાનો નિર્ધાર: મેયર
રખડતા ઢોર. આ શબ્દ આજકાલ સમાચાર પત્રોમાં. સોશિયલ મીડિયામાં કે ટીવી ચેનલોમાં ખુબ સાંભળવા મળે છે. કારણ કે, કોઈને કોઈ શહેરમાં રખડતા ઢોરના કારણે, અકસ્માત કે, હુમલાની ઘટના સામે આવે છે. જોકે આ પ્રકારની ઘટનાઓ પાછળ જવાબદાર આપણું તંત્ર છે. પરંતુ વીટીવીએ તંત્રની આંખો ઊઘાડવાનો પ્રયાસ કર્યો અને અંતે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.
સી.આર.પાટીલે પણ સૂચના આપી હતી
રાજ્યમાં રખડતા ઢોર મામલે VTV દ્વારા અહેવાલ રજૂ કરાયો હતો. VTVના રખડતા ઢોરના અહેવાલ બાદ વડોદરામાં તંત્ર જાગ્યું છે. ત્યારે હવે વડોદરા શહેરમાં ઢોર પકડવાની કામગીરી હાથધરાઈ છે. તંત્રના દબાણ ખાતાની ટીમ દ્વારા આજથી શહેરમાં 5 ટીમ દ્વારા ઢોરને પકડવામાં આવી રહ્યા છે. આજથી પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત 5 ટીમ દ્વારા શહેરમાં કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ સૂચના આપી હતી. ત્યારે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ 15 દિવસમાં ઢોરના ત્રાસને દૂર કરવાનો નિર્ધાર કર્યો છે. જેથી હવે VMCની ઢોર પકડવાની ટીમ કામે લાગી છે. આખી રાત ઢોર પકડવાની ઝુંબેશ ચાલશે.
વર્ષમાં રખડતા ઢોરની 10 ટકા સંખ્યા વધી ગઈ
વડોદરાના સર્કિટ હાઉસમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેકટર, પાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે રખડતાં ઢોરોના મુદ્દે બેઠક થઈ. .બેઠકમાં ઢોરોને રખડતા મૂકનારા પશુપાલકો સામે પાસાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. .વડોદરામાં 2 હજાર પરિવાર પશુપાલક છે, જેમના 20 હજાર ગાય ભેંસ છે. રખડતાં ઢોરનો મુદ્દો મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સુધી પણ પહોચાડવામાં આવ્યો છે. .પાલિકા શહેરમાં પ્રથમવાર ગાય કે ઢોર પકડાયા તો 6 હજાર 200 રૂ. નો દંડ કરે છે, બીજીવાર ઢોર પકડાય તો 11 હજારનો દંડ લેવાય છે, પણ હવે ત્રીજી વખત ઢોર પકડાશે તો પશુપાલકને પાસા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. .સાથે જ ઢોરના કારણે કોઈ વ્યક્તિનો અકસ્માત થશે કે મૃત્યુ પામશે તો પણ ઢોર માલિકને પાસા કરાશે. જણાવી દઈએ કે 7 વર્ષમાં રખડતા ઢોરની 10 ટકા સંખ્યા વધી ગઈ છે.
મહત્વનું છે કે અનેક વખત ન્યાયપાલિકા આ મુદ્દે ટકોર કરી ચૂક્યું છે, પણ ઠાલા વચનો આપતું તંત્ર મૂકપ્રેક્ષક બની જોઈ જ રહે છે, ત્યારે અનેક વખત વીટીવી અહેવાલ રજૂ કર્યા બાદ વડોદરામાં તો રખડતાં ઢોર મામલે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે પણ આ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા છે જેનો યોગ્ય નિકાલ લાવવો જરૂરી છે. જેથી લોકોને વગર કારણે ઢોરના કારણે અકસ્માતનો ભોગ ન બનવું પડે તેમજ રખડતાં ઢોરને ખોરાક અને આશ્રય મળે.