શહેરના બોપલ વિસ્તારમાં આવેલા નંદ બંગલોઝમાં રહેતાં કમળાબહેન પ્રહ્લાદભાઇ સોની ગઇકાલે અમદાવાદથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુર ખાતે રહેતી તેમની દીકરીને દાગીના આપવા માટે ગયાં હતાં.
ચાર કલાકમાં જ પોલીસે વૃદ્ધાને કીમતી દાગીના ભરેલો થેલો પરત અપાવ્યો
વૃદ્ધા અમદાવાદથી પાલનપુર દીકરીને દાગીના આપવા માટે ગયાં હતાં
વૃદ્ધા દાગીના રિક્ષામાં ભૂલી જતાં તરત જ પોલીસને જાણ કરી હતી
પોલીસ પ્રજાની મિત્ર હોય છે તે વાત હવે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. પહેલાં લોકો પોલીસ સ્ટેશનનું પગિથયું ચઢતાં પહેલાં દસ વખત વિચાર કરતા હતા, કારણ કે હાથમાં ડંડો અને મોઢા પર ગુસ્સો હોય તેવી પોલીસની છાપ હતી. લોકોના મનમાં રહેલી પોલીસની આ ઇમેજ દિવસે ને દિવસે સુધરતી જાય છે, જેના કારણે હવે લોકો પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત કરવા માટે કોઇ પણ ડર વગર જઇ રહ્યા છે.
પોલીસ પણ પ્રજાની મિત્ર છે તે સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પાલનપુર પોલીસે કંઇક આવી જ રીતે સાચા મિત્રની ફરજ નિભાવીને અમદાવાદની એક વૃદ્ધાનો સોનાના દાગીના ભરેલો થેલો પરત અપાવ્યો છે.
પાલનપુર ખાતે રહેતી દિકરીને દાગીના આપવા ગયા હતા
શહેરના બોપલ વિસ્તારમાં આવેલા નંદ બંગલોઝમાં રહેતાં કમળાબહેન પ્રહ્લાદભાઇ સોની ગઇ કાલે અમદાવાદથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુર ખાતે રહેતી તેમની દીકરીને દાગીના આપવા માટે ગયાં હતાં. કમળાબહેન પાલનપુર ઊતરીને એક રિક્ષામાં બેઠાં હતાં. ત્યાર બાદ દીકરીના ઘરે ગયાં હતાં. દીકરીના ઘરે રિક્ષામાંથી ઊતર્યાં ત્યારે કમળાબહેન સોનાના દાગીના ભરેલો થેલો લેવાનું ભૂલી ગયાં હતાં.
થેલામાં સોનાની નાકની થોલી, કાનની બુટ્ટી સહિત અંદાજિત બે તોલા સોનાના દાગીના હતા. કમળાબહેને રિક્ષાચાલકને ભાડું ચૂકવ્યું હતું. ત્યાર બાદ તે પણ રવાના થઇ ગયો હતો.
કમળાબહેનને પાછળથી ખ્યાલ આવ્યો કે સોનાના દાગીના ભરેલો થેલો તો રિક્ષામાં રહી ગયો છે. જેથી તેમણે પોતાના દીકરા કૌશિકને જાણ કરી હતી. કૌશિકે તરત જ પોલીસને જાણ કરી હતી અને માત્ર ચાર કલાકની અંદર રિક્ષાચાલકને શોધી કમળાબહેનનો થેલો પરત અપાવ્યો હતો.
પોલીસ તેમજ આરટીઓએની મદદથી દાગીના ભરેલ થેલો પરત આપ્યો
બનાસકાંઠા જીલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે કમળાબહેનને રિક્ષાનો નંબર યાદ હતો નહીં, જેથી તેમણે તરત જ પોલીસને જાણ કરી દીધી હતી, જેથી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતાંની સાથે જ રિક્ષાનો નંબર આવી ગયો હતો, જેથી આરટીઓની મદદથી ચાલકનું એડ્રેસ મળી ગયું હતું. પાલનપુરમાં સીસીટીવી કેમેરા હેન્ડલ કરતા પીએસઆઇ કે. ડી. રાજપૂત અને તેમની ટીમે રિક્ષા કઇ જગ્યાએ છે તેની માહિતી આપી દીધી હતી, જેથી સ્થાનિક પોલીસની મદદથી રિક્ષાને અટકાવી હતી. રિક્ષાચાલકની અટકાયત કરી ત્યારે સોનાના દાગીના ભરેલો થેલો પાછળની સીટ ઉપર પડેલો હતો. સોનાના દાગીના ભરેલા થેલાથી ખુદ રિક્ષાચાલક પણ અજાણ હતો. માત્ર ચાર કલાકમાં પોલીસે કમળાબહેનને સોનાના દાગીના ભરેલો થેલો પરત આપીને પ્રશંસનીય કામગીરી કરી હતી.