પહેલા રાજકોટ અને હવે જામનગરના સ્નેહ મિલન કાર્યક્રમમાંથી મોટા નેતાઓઆન પત્તા કટ, શું સૌરાષ્ટ્ર ભાજપમાં બધુ બરોબર ચાલી રહ્યું છે?
ભાજપની છબી બગાડતી આમંત્રણ પત્રિકા
રાજકોટ: આમંત્રણ પત્રિકામાં મોટા નેતાઓના પત્તા કાપ્યા
જામનગર: મંત્રીનું નામ જ પત્રિકામાંથી ગાયબ
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મિલન તો હોય છે પણ સ્નેહ ગાયબ થયો હોય તેવા ચિત્રો સામે આવી રહ્યા છે. પહેલા રાજકોટમાં સ્નેહમિલનની આમંત્રણ પત્રિકામાંથી મોટા નેતાઓના પત્તા કપાતા વિવાદનું વંટોળ ચડ્યું હતું. જે બાદ હવે જામનગર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને લઇ વિવાદ સર્જાયો છે
હવે મંત્રી રાઘવજી પટેલની પત્રિકામાંથી બાદબાકી
સૌરાષ્ટ્ર ભાજપમાં જાણે આંતરીક જુથવાદ ચરમ પર હોય તેવુ લાગી રહ્યું છે. કારણ એક જ છે આમંત્રણ પત્રિકામાં સતત થતી મોટા નેતાઓની બાદબાકી, હવે જામનગર ભાજપનો મોટો ચહેરો અને ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નામ જ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાંથી ગાયબ થતાં મોટા વિવાદે જોર પકડયું છે. આમ તો ભાજપમાં શિસ્ત અને સંયમ બાબતે આકરા પગલાં લેવામાં આવે છે પણ જિલ્લા ભાજપ સંગઠન ગમે તેમ પોતાની મન મરજી ચલાવી રહ્યું છે તે રાજકોટ અને જામનગરમાં થયેલા વિવાદ પરથી સ્પષ્ટ કહી શકાય. જામનગરમાં પ્રથમ છપાવેલી આમંત્રણ પત્રિકામાં મંત્રી રાઘવજી પટેલની બાદબાકી કરાઇ હતી જે બાદ ભાજપમાં આંતરિક વિવાદ થતા તાબડતોબ બીજી પત્રિકા છાપવાના ઓર્ડર આપવામાં આવ્યા છે. અહી પણ જિલ્લા ભાજપની ભૂલ કે જાણી જોઇને બાદબાકી કરાઇ તે ચર્ચાનો વિષય બન્યું છે.
સ્નેહમિલનમાં સાસંદ MLAનું નામ ગાયબ
20 નવેમ્બરના રોજ, પહેલા સ્નેહમિલનનો કાર્યક્રમ હતો પણ અચાનક જ આ પ્રોગ્રામને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. જેની આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હોવાનું ચર્ચાયું હતું. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો. તો આ અગાઉ રાજકોટમાં 15 નવેમ્બરના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ગોવિદ પટેલનું પત્તું કપાયું હતું. મોટા નેતાના નામ જોવા નહીં મળતા વિવાદ ભભૂકી ઉઠ્યો હતો.
હોર્ડિંગ વૉર
આ અગાઉ રાજકોટમાં સી આર પાટીલના પ્રવાસ પહેલા અંદરો અંદર બે જૂથો વચ્ચે વિખવાદ સર્જાયો હોય તેવા ચિત્રો દેખાયા હતા. નેતાઑ વચ્ચે આંતરિક હોર્ડિંગ વૉર શરૂ થયું હતું. જેમાં સાંસદ રામ મોકરિયા અને કશ્યપ શુક્લના પોસ્ટરથી વિવાદ વધ્યો હતો. શહેર ભાજપના આગેવાનોની હોર્ડિંગમાંથી બાદબાકી કરવામાં આવતા અનેક તર્ક વિતર્કએ જોર પકડયું હતું.
પાટીલે જૂથવાદ મુદ્દે બેઠક કરી
પાટીલના આગમન પહેલા પત્રિકા વિવાદનો મુદ્દો ગાજ્યો હતો. જે બાદ આજે રાજકોટ પ્રવાસ વખતે પાટીલે જૂથવાદ ડામવા માટે બંધ બારણે હોદ્દેદારો સાથે બેઠક કરી છે. જેમાં મંત્રી અરવિંદ રૈયાણી, MLA ગોવિંદ પટેલ હાજર રહ્યા છે જ્યારે પૂર્વ CM વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ ગેરહાજર દેખાયા છે જોકે રૂપાણી હાલ સુરતના પ્રવાસે છે પણ બેઠકથી મીડિયાને દૂર રાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પાટીલે સવારે સંબોધન વખતે જણાવ્યું હતું કે કોઈ જ જુથવાદ પાર્ટીમાં નથી. પૂર્વ CM વિજય રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારક છે અને રહેશે.