રાજસ્થાન CM અશોક ગેહલોતે વચનો પૂરા ન કર્યાના આક્ષેપ સાથે રાજસ્થાનના 200 કરતા વધારે બેરોજગાર યુવકો અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આંદોલન કરી રહ્યા છે.
ગુજરાતમાં શરૂ થયું રાજસ્થાનના યુવાનોનું આંદોલન
200 કરતા વધારે બેરોજગાર યુવાનો પહોંચ્યા ગાંધી આશ્રમ
CM અશોક ગેહલોતે વચનો પૂરા ન કર્યાના આક્ષેપ સાથે વિરોધ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વચનો પૂર્ણ ન કર્યાના આક્ષેપ સાથે 200 કરતા વધારે રાજસ્થાનના બેરોજગાર યુવકો અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે અને આંદોલન કરી રહ્યા છે.
રાજસ્થાન CM વચન પૂર્ણ ન કર્યાનો આક્ષેપ
રાજસ્થાનના 200 કરતા વધારે બેરોજગાર યુવકો પાલનપુરથી પદયાત્રા કરીને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં રોજગારી નહીં મળતી હોવાના આક્ષેપ સાથે અમદાવાદ પહોંચ્યા છે. ગઈકાલે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને બહાર વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ તમામ યુવકો આજે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે. બેરોજગાર યુવાનો અશોક ગેહલોત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ગેહલોત સરકાર પર લગાવાયો આ આરોપ
200થી વધુ પ્રદર્શનકારી યુવાનોએ પરીક્ષાની સીટો ખાલી હોવા છતા સીટ ભરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેમણે ગ્રામ પંચાયતના યુનિટ ઓપરેટરો પાસે 2018થી કામો કરાવી વેતન ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. ગુજરાતમાં ચૂંટણી આવી રહી હોવાથી સરકાર તેમની વાત સ્વીકરાશે તેવી આશાએ તેઓ વિરોધ કરવા ગુજરાત પહોંચ્યા છે.
ગુજરાતનાં યુવાનો કોંગ્રેસની વાતોમાં ન આવે તેવી અપીલઃ વિરોધકર્તા
રાજસ્થાનના બેરોજગાર યુવકો ગુજરાતના યુવાનોને પણ કોંગ્રેસની વાતોમાં ન આવવાની અપીલ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે, જ્યાં સુધી અશોક ગેહલોત મળશે નહીં ત્યા સુધી આંદોલન ચાલુ રહેશે. અમે આગામી સમયમાં ભારત જોડો યાત્રાનો પણ વિરોધ કરીશું. અમે ગુજરાતમાં પણ દરેક જગ્યા પર કોંગ્રેસનો વિરોધ કરીશું.
ગેહલોત સરકારનો ગુજરાતમાં વિરોધ
નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક છે, જ્યારે રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે. આ બંને નેતા દ્વારા ગુજરાતની જનતાને ચૂંટણીના વચનો આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસે 10 લાખ રોજગારી આપવાનું વચન આપ્યું છે. એવામાં કોંગ્રેસશાસિત રાજસ્થાનમાં જ બેરોજગાર યુવાનો અમદાવાદમાં આવીને ગેહલોત સરકારનો વિરોધ કરી રહ્યા છે.