પ્રતિનિધીઓ સાથે બેઠક બાદ વન રક્ષક-વનપાલની માંગણીઓ મામલે જીતુ વાઘાણીની જાહેરાત, કહ્યું અમે વ્યાજબી મોટાભાગની માંગ સ્વીકારી
વનરક્ષક, ST કર્મી અને આરોગ્ય કર્મીઓનું આંદોલન સમેટાયું
રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે
વન રક્ષક અને વનપાલના પ્રતિનિધીઓ સાથે સરકારના આગેવાનોની ચર્ચા થઈ હતી
ST કર્મી અને આરોગ્ય કર્મીઓ બાદ વધુ એક આંદોલન ગુજરાત સરકારે ગહન ચર્ચા બાદ શાંત પાડ્યું છે. વન રક્ષક, વનપાલ કર્મીઓની માંગણીનો સરકારે સ્વિકાર કરતાં આંદોલન સમી ગયું છે. વન રક્ષક અને વનપાલના પ્રતિનિધીઓ સાથે સરકારના આગેવાનોની બેઠક બાદ જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે વન રક્ષકો અને વનપાલની લાગણીઓ સરકાર સમક્ષ રજુ થઈ હતી. ભાજપ સરકારે મોટાભાગની માગણીને સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.
12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી: જીતુ વાઘાણી
મહત્વનું છે કે ગુજરાતમાં એક દિવસમાં 3 આંદોલનોનો અંત આવ્યો છે.વન રક્ષક અને વનપાલની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે. રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે. વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ હવે મળશે. કેટલાક નિર્ણયોથી પ્રજાને નુકશાન ન થાય તેની જવાબદારી સરકારની છે તેવુ જણાવતા રાજ્ય સરકારની અપીલને ધ્યાને વનકર્મીઓએ આંદોલન સમેટ્યુ છે. વાઘાણીએ વધુમાં કહ્યું કે સાતમા પગાર પંચ, સહિત 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી છે. અગાઉ ન મળતા હોય તેવા લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે. ગુજરાતની જનતા રાજકીય હાથા બને એમ નથી.
વન રક્ષક મંડળ પ્રમુખ પ્રવીણ સિંહ ચૌહાણનું નિવેદન
વનપાલ આંદોલનના મામલે વનકર્મી પ્રવીણ સિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તેઓના જણાવ્યા મુજબ માંગણીઓ મુખ્ય 14 હતી તેમાંથી 11 ક્લિયર કરવામાં આવી છે. તમામ બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે એવું લાગ્યું અમારી માંગ વ્યાજબી છે. વન વિભાગના કર્મચારીઓને 24 કલાક ડ્યુટી હોય છે છતાં રજા પગાર આપવામાં આવતો નહતો, સરકારે સારું વલણ અપનાવી અમારી માંગ સ્વીકારી છે. વોશિંગ એલાઉન્સ તરીકે સરકારે ભથ્થું આપવાનું નક્કી કર્યું છે.
ST નિગમના કર્મચારીઓની 14માંથી 11 માંગ સ્વીકારી લીધી
મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી ST નિગમના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કર્મચારીઓની પડતર માંગ ઉપર ઊંડી ચર્ચા વિચારણાં કરવા એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી.નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે.
ડ્રાઈવર અને કંડક્ટરના માસિક પગારમાં રૂ. 2 હજાર 500નો વધારો: કે.ડી. દેસાઈ
રાજ્ય સરકારે આજે ST નિગમના કર્મચારીઓની 14 માંગમાંથી 11 માંગો સ્વીકારી લીધી છે. ST કર્મચારીઓના 11 જેટલા પ્રશ્નોનું આજે નિરાકરણ આવી ગયું છે ત્યારે પ્રશ્નોના નિરાકરણ મુદ્દે GSRTCના અધિકારી કે.ડી. દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે, 'વાહન વ્યવહારમંત્રીએ મોડી રાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરાયું. બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ લાવતા નિર્ણય લેવાયા કે, ગ્રેડ-પેનો એરિયર્સ એક જ સપ્તાહમાં ચૂકવાશે. 16 કરોડ જેટલું એરિયર્સ ચૂકવાશે. 3 ટકા DA 1 ફેબ્રુઆરીમાં ચૂકવાશે. દરેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો. ફિક્સ પેના કર્મચારીઓમાં પણ વધારો કરાયો છે. હેલ્પર અને RTને રૂ. 1000નો વધારો કરાયો. ડ્રાઈવર અને કંડક્ટરના માસિક પગારમાં રૂપિયા 2 હજાર 500નો વધારો કરાયો. આથી, ST વિભાગના 38 હજાર કર્મચારીઓને ફાયદો થશે.'બેઠક બાદ બાકી રહેતું એરિયર્સ 11 % મોંઘવારી ભથ્થા સાથે 3 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ હપ્તો 24 ઓકટોબર સુધી, જ્યારે બીજો હપ્તો 14 જાન્યુઆરી સુધી અને ત્રીજો હપ્તો 25 એપ્રિલ સુધીમાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે. સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. પાંચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી. 14 પડતર પ્રશ્નોને લઈને કમિટી બનાવવામાં આવી. નિવૃત્ત સૈનિકોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું છે.'