ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આજે વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી શૈલેષ પરમાર અનિલ જોષીયારા ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન ગૃહમાં હાથ ધરાનાર કામોની ચર્ચા થઈ હતી. આગામી 18 અને 19 સપ્ટેમ્બર 2 દિવસે ચોમાસુ સત્ર યોજાશે. પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇને ગૃહમાં શ્રદ્ધાંજલી પાઠવાશે. આ સાથે જ ચાર જેટલા સરકારી બિલ પર પણ સત્ર દરમિયાન ચર્ચા થશે. ખેડૂતોના દેવામાફી મગફળી કાંડ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસો કરશે.
ઉલ્લેખનીય છે કે આગામી 18 અને 19 સપ્ટેમ્બરના રોજ 2 દિવસનું ચોમાસુ સત્ર યોજાવાનું હોવાથી કેટલાક મહત્વના વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ રાજ્યની વર્તમાન સ્થિતિ અને રાજ્ય સરકાર સામે ઉભા થયેલા સવાલો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જો કે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાના ચોમાસા સત્રમાં વિપક્ષ સત્તા પક્ષને ઘેરવાના ખાસ પ્રયાસ કરી શકે છે. માટે આગામી વિધાનસભા સત્ર તોફાની બનવાના એંધાણ છે.