સમગ્ર દેશ આજે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના દુઃખમાં ડૂબેલો છે. દેશભરમાં આ આતંકી હુમલાનો બદલો લેવા માટે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે મોદી સરકાર પર તાબડતોડ હરકતમાં આવેલી દેખાય છે.
સામાન્ય પ્રજાથી માંડીને ઉચ્ચ અધિકારીઓ હાલમાં આ આતંકી હુમલાનો જવાબ કેવી રીતે અપાય તે જ વિચારી રહ્યો છે. આવામાં ગુજરાતના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે મારો પગાર જવાનોના પરિવારને આપી દો.
ધવલસિંહ ઝાલાએ કહ્યું હતું કે સરકાર આતંકવાદી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરે. મારો પગાર શહીદ જવાનોના પરિવારને આપવામાં આવે. મેં ત્રણ મહિનાથી પગાર લીધો નથી અને આ પગાર શહીદોના પરિવારને આપી દેવાય.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને લોકો ગુસ્સામાં અને આક્રોશમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધ પાળી શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી છે.
જ્યારે રાજકોટના એપીએમસીના વેપારીઓએ અનોખો નિર્ણય કર્યો હતો. જેમાં વેપારીઓએ આજની આવક શહીદોના પરિવારને આપવાની જાહેરાત કરી હતી. વેપારીઓ પોતાની દુકાન બંધ નહીં પરુ ચાલુ રાખીને શહીદોને શ્રધ્ધાંજલી આપશે.
જ્યારે સુરતમાં વનમંત્રી ગણપત વસાવાએ જાહેરમાં પોતાની વેદન વ્યક્ત કરી. જેમાં કહ્યું કે ચૂંટણી રોકી દો પાકિસ્તાનને ઠોકી દો.