વ્યાજખોરીના દૂષણને ડામવા સરકાર દ્વારા ખાસ ઝૂંબેશ ચાલી રહી છે. આ ડ્રાઇવના ભાગરૂપે તમામ જિલ્લા લેવલે કઈ કામગીરી કરવામાં આવી છે. જેની સમીક્ષા અર્થે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે.
રાજ્યમાં વકરતા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. તાજેતરના તમામ જિલ્લા લેવલે લોકદરબાર ઉપરાંત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા બાદ આજે રાત્રે વ્યાજખોરો મુદ્દે રાજ્યના તમામ SP અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી બેઠક યોજશે. જેમાં કામગીરીની સમીક્ષા કરી આગામી કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સથી રાત્રે 8:30 વાગે કરશે બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાતે 8.30 કલાકે વિડીયો કોંન્ફ્રેંસ થકી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે. રાજ્યમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે આ મામલે જિલ્લા વાઇસ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન થયેલી પોલીસની કામગીરી અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. જેમાં દરેક જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ કરવામાં આવેલ ફરિયાદો, કેસો અને રજુઆતો પરની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં DGP સહિતના ઉચ્ચ અધીકારીઓ પણ હાજર રહેશે.
વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા લોકો આગળ આવે: પોલીસની અપીલ
રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલતી ડ્રાઈવ દરમિયાન અમદાવાદ પોલીસે બેફામ વ્યાજ વસુલતા શખ્સો સામે અનેક ગુનાઓ નોંધ્યા છે. વ્યાજખોરો સામે લોકદરબાર યોજી શહેરના સેટેલાઇટ, ઇસનપુર, ઓઢવ, ચાંદખેડામાં ડ્રાઇવ દરમિયાન 53 નવી અરજીઓ આવી હતી.આ દરમિયાન ઓઢવમાં અધિકારીઓને મળ્યા વગર માત્ર ફોન પર રજુઆત કરી હતી. જેમાં પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે હજુ સુધી એક પણ આરોપીઓ પોલીસ ઝપટે ચડ્યા નથી. હજુ પણ વ્યાજખોરનો ભોગ બનેલા લોકો આગળ આવે તેવી પોલીસ દ્વારા અપીલ કરાઈ છે
રાજ્યના તમામ SP અને પોલીસ કમિશનર સાથે બેઠક
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાંથી વ્યંજકવાદીઓને ઉખેડી ફેંકવા મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોલીસ અધિકારી લોકો વચ્ચે જઈ લોકોની રજૂઆતો સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. મહત્વનું છે કે પ્રથમ 100 દિવસમાં વ્યાજખોરીમાંથી લોકોને મુક્તિ અપાવવા સરકાર મિશન મોડ પર કાર્યવાહી કરી રહી છે. જેના ભાગરૂપે આ મિટિંગનું આયોજન કરવામા આવ્યું છે.