કેન્દ્રની મોદી સરકાર અને પ્રદર્શન કરનારા ખેડૂતો બંને તરફથી હાલમાં ટકરાવ ચાલુ છે. એક તરફ, સરકાર ખેડૂતોને મનાવવામાં વ્યસ્ત છે, ત્યારે ખેડૂતો તેમની માંગ પર અડગ છે અને આંદોલનને વધુ તીવ્ર બનાવવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન હરિયાણાના કૃષિ મંત્રીએ ખેડૂત પ્રદર્શનોને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે પ્રદર્શનની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી.
ખેડૂત પ્રદર્શનોને પાકિસ્તાન સાથે સરખાવ્યા
હરિયાણાના કૃષિ મંત્રીએ આપ્યું વિવાદિત નિવેદન
નવા કાયદાઓ હટાવવાની માંગણી સાથે ખેડૂતો હજુ પણ અડગ
છેલ્લા સાત દિવસથી કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન ચાલી રહ્યા છે. ખેડૂતો ને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા બોર્ડર સીલ કરાઇ હતી, જેના લીધે સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે, આ દરમિયાન હરિયાણાના કૃષિ મંત્રી જે.પી. દલાલે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે," ખેડૂતો એ સમજદારીથી કામ લેવું જોઈએ, આ કોઈ કરાંચી કે લાહોર નથી, આ દેશની રાજધાની છે."
સમજદારી કામ લે ખેડૂતો, આ કરાંચી કે લાહોર નથી: હરિયાણાના મંત્રી
જે.પી.દલાલે જણાવ્યું હતું કે હું તમામ ખેડૂત ભાઈઓને કહીશ કે સમજદારીથી કામ લો, આપણે દિલ્હીનું પાણી બંધ કરીશું, દિલ્હીનો રસ્તો રોકીશું, દિલ્હીને ઘેરી લઈશું આ બધી સારી વાત નથી. આ તે લાહોર કે કરાચી નથી, પણ તે દેશની રાજધાની છે.
મહત્વનું છે કે હરિયાણાના કૃષિ પ્રધાન જે પી દલાલે કોંગ્રેસને ખેડૂત આંદોલનના સમર્થન કરવા મુદ્દે ઘેરી હતી, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને ખેડૂતો ની ભલાઈ સાથે કઈં પણ લેવાદેવા નથી, તે માત્ર અરાજકતા ફેલાવી રહી છે." મહત્વનું છે કે હાલમાં મોદી સરકાર અને ખેડૂતો બંને પક્ષોએથી નિવેદનબાજી ચાલુ છે, સરકાર જ્યાં ખેડૂતો ને મનાવવામાં વ્યસ્ત છે ત્યાં ખેડૂતો તેમની ડિમાન્ડ ઉપર અડગ છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ વાતચીત દ્વારા ઉકેલ લાવવા કહ્યું
મહત્વનું છે કે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો ને આંદોલનનો અંત લાવીને વાતચીત દ્વારા આ મુદાનો ઉકેલ શોધવાનું આહ્વાન કર્યું હતું, જો કે ખેડૂત નેતાઓએ આ મુદ્દે સરકારને પહેલા કાયદાઓ રદ્દ કરવાનું કહ્યું હતું.