ભાજપના મંચ પર વાસણ આહીરને પ્રદેશ પ્રમુખ પાટીલે રોકડું પકડાવી દીધુ છે. કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડવાની બાબતે પાટીલે કહ્યું કે, ભાજપના કાર્યકરો પર ભરોસો રાખો. સમગ્ર વાત એવી છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓ લોકો વચ્ચે કાર્યક્રમ કરી રહ્યા છે. ભાજપના કચ્છ ખાતે કાર્યક્રમમાં રાજ્ય મંત્રી વાસણભાઈ આહીર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ એક મંચ પર સાથે હતા.
વાસણભાઈ આહીરે પોતાના સંબોધનમાં અંજારમાં કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયાની જાહેરાત કરી હતી. જેમના સંબોધન બાદ સી.આર પાટીલે વાસણભાઈની વાતની કન્ની કાપતા કહ્યું કે, તેમણે કોઈને પણ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં લાવવાની મંજૂરી આપી નથી. સાથે વાસણભાઈને રોકડું પકડાવતા કહ્યું કે, ભાજપના કાર્યકરો પર ભરોસો રાખો. વાસણભાઈ અત્યાર સુધી જે લીડ નથી મળી તેવી લીડ ભાજપને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રાપ્ત થશે.
મહત્વનું છે કે, સી.આર પાટીલ આ પહેલા પણ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડવા બાબતે અનેક મંચ પરથી પોતાની પાર્ટી માટે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. પાટીલે અગાઉ પણ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડીને ભાજપની જીત અપાવવાની વાત નકારી છે.