ભરઉનાળે સુરતના માંગરોળ અને લિંબાયતમાં કમોસમી વરસાદ ખાબકતા જગતનો તાત ચિંતિત બન્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
ભરઉનાળે વરસાદી મોહાલ
માંગરોળ, લિંબાયતમાં વરસાદ
વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં
સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વાંકલ સહિત અનેક વિસ્તારો પડ્યો ઝરમર વરસાદ
આજે બપોરના 12 વાગ્યા પછી સુરતના લિંબાયત અને માંગરોળનું વાતાવરણ પલાટાયું હતું. તાલુકાના વાંકલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં હતા. એક તરફ વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક છવાઈ ગયેલ છે. તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે પાકમાં મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 18, 2023
24 કલાકમાં વરસાદી માવઠાની શક્યતા
રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી માવઠાની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની જનહિતમાં સૂચના
આજે અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન રહી શકે છે. તો અમરેલી 42 અને રાજકોટમાં 41.5 ડિગ્રી તાપામાન નોંધાઈ શકે છે. અમદાવાદ સહિતના જિલ્લાઓ માટે હવામાન વિભાગે જનહિતમાં સૂચના આપી છે. હવામાન વિભાગે કહ્યું કે, જે વિસ્તારોમાં 41-42 ડિગ્રી તાપમાન રહેતું હોય ત્યાં લોકો સચેત રહે. હળવા રંગના કપડાં પહેરવા, માથું ઢાંકવું, વારંવાર પાણી પીવું હિતાવહ છે.