હાડથીજવતી ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં હજુ પાંચ દિવસ 11-12 ડિગ્રી સેલ્સિયસ ઠંડી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સતત બીજા દિવસે અમદાવાદીઓ કાતિલ ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા
હજુ પાંચ દિવસ શહેરમાં 11-12 ડિગ્રી સેલ્સિયસ પડશે ઠંડી
આ વિસ્તારમાં શીતલહેરની અસર જોવા મળશે
અમદાવાદ શહેરમાં ગઈ કાલે રેકોર્ડબ્રેક 7.6 ડિગ્રી ઠંડી પડતાં લોકો રીતસર ઠૂંઠવાયા હતા. ગઈ કાલની ઠંડી તો ટોક ઓફ ધ ટાઉન બની હતી. લોકો ગરમ વસ્ત્રો પહેરીને પણ ઠંડીથી ધ્રુજતા હતા. તેની સરખામણીમાં આજે કાતિલ ઠંડીના પ્રકોપ સામે હવામાનમાં આંશિક રાહત મળી છે. આજે શહેરનું લઘુતમ તાપમાન ગઈ કાલ કરતાં 2.1 ડિગ્રી જેટલું ઊંચકાતાં 9.7 ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાઈ હતી, જોકે સતત બીજા દિવસે પણ ઠંડીએ લોકોને તોબા પોકારાવી દીધી છે.
ઠંડીનો પ્રકોપ વધે તેવી શક્યતા
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો પંજો ફરી વળ્યો હોઈ દેશની આર્થિક રાજધાની દિલ્હી સહિતનાં અન્ય શહેરો શીતલહેરમાં થીજી ગયાં છે. દિલ્હીમાં ગગડીને 1.4 ડિગ્રીએ અટકતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, જોકે દેશમાં ઠંડીનો પ્રકોપ આગામી બે દિવસ દરમિયાન વધે તેવી શક્યતા છે. હિમાલયમાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનના કારણે અમદાવાદ સહિત ગુજરાતના જનજીવન પર તેની અસર જોવા મળી છે.
તાપણું કરી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી
અમદાવાદમાં આજે 9.7 ડિગ્રી ઠંડી નોંધાતાં લોકોએ તેના પ્રકોપ સામે થોડી રાહત મેળવી છે, જોકે આ ઠંડી સામાન્ય તાપમાન કરતાં 2 ડિગ્રી ઓછી હોવાથી તેની તીવ્રતાની અસર વાતાવરણમાં હતી. લોકો આજે પણ હાડ થીજાવતી ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરીને કામધંધાએ જવા નીકળ્યા હતા. ચાલી વિસ્તારમાં ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.
શહેરમાં ઠંડીની તીવ્રતા 11-12 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા
આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે હજુ પાંચ દિવસ શહેરમાં ઠંડીની તીવ્રતા 11-12 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે. રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં આજે વડોદરા 11.2, ભાવનગર 11.4, ભુજ 8.7, છોટાઉદેપુર 12, દાદરા-નગર હવેલી 12, દાહોદ 9.4, દમણ 13.6, ડીસા 7.8, દીવ 10.8, દ્વારકા 12.8, ગાંધીનગર 8.8, જામનગર 8.2, જૂનાગઢ 10.3, કંડલા 10.9, નલિયા 2.4, નર્મદા 8, ઓખા 18.9, પાટણ 8.1, પોરબંદર 8.6, રાજકોટ 9.4, સાસણ-ગીર 13.4, સિલવાસા 12, સુરત 12 અને વલસાડમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
આ વિસ્તારમાં શીતલહેરની અસર જોવા મળશે
આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે સવારના 8.30 વાગ્યાથી આવતીકાલ સવારના 8.30 સુધી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં શીતલહેરની અસર જોવા મળશે તેવી આગાહી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ વિસ્તારમાં છેલ્લા 24 કલાક શીતલહેર ફરી વળી છે, જે હજુ પણ 24 કલાક સુધી રહેશે તેમ સ્થાનિક હવામાન વિભાગની આગાહી જોતાં લાગુ પડે છે.