હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. 4થી 6 માર્ચ સુધી માવઠાની આગાહીથી કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ છે.
રાજ્યના વાતાવરણમાં પલટો આવશે
શનિવારથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
સરહદી વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આશંકા
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામા આવી છે. માવઠાની આગાહીથી રાજ્યા ખેડૂતોની ચિંતા વધી છે. આગામી ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં તા.4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એવામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીથી ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે.
રાજ્યના વાતાવરણમાં પલટો આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 માર્ચથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છેઃ મનોરમા મોહંતી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.
ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે વરસાદ ?
હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીરસોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલીના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધાનિય છે કે, 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં માવઠાની આગાહીને લઇ ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવાના આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે.જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.
વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.