રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, તો કચ્છના કેટલાક વિસ્તારોમાં હિટવેવની સંભાવના
રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે કરી આગાહી
આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે
અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબીમાં વરસાદની શક્યતા છે.અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે.જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, મહેસાણામાં અસર વર્તાશે.અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રી વધારો થશે.
બુધવારે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો
અમરેલીથી અમદાવાદ સુધી વાતાવરણમાં પલટો આવ્યો છે. જૂનાગઢના માંગરોળમાં તો વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળોએ આકાશમાં કબજો જમાવી લીધો હતો. અને ધીમી ધારે જામનગરમાં પ્રવેશ કરીને પોતાની હાજરી નોંધાવી દીધી હતી. તો બપોરબાદ અમદાવાદ, બોટાદ, સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ પગરવ માંડતું જોવા મળ્યું. જો કે આ વાદળછાયા વાતાવરણથી અંગ દઝાડતી ગરમીથી રાહત તો મળી પરંતુ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થશે એ નુકસાનની ચિંતામાં ખેડૂતોનું હૈયું સળગી રહ્યું છે.
અમરેલી, દ્વારકામાં વાદળછાયું વાતાવરણ
બુધવારે અમરેલી અને દ્વારકા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો જૂનાગઢમાં કમોસમી વરસાદ નોંધાયો. જૂનાગઢના માંગરોળમાં વહેલી સવારથી કાળાડિબાંગ વાદળોની વચ્ચે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. આમ, અચાનક કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ કાળઝાળ ગરમીની વચ્ચે વાદળછાયા વાતાવરણથી ગરમીથી આંશિક રાહત મળી
ગીરસોમનાથ. જામનગર, સુરેન્દ્રનગર,પોરબંદરમાં ચોમાસા જેવો માહોલ
19 એપ્રિલેના રોજથી બે દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જો કમોસમી વરસાદ થયા તો કેરીના પાકને વ્યાપક નુકશાન થાય તેમ છે. તો બીજી બાજું અમરેલી જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો તેવી જ રીતે સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ સાથે ઠંડો પવન ફુંકાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ગરમીથી લોકોને આશીંક રાહત મળી તો પોરબંદરમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે આસપાસના ગામોમાં વરસાદી છાંટા વરસ્યા હતા જ્યાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે