વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણની પીઠ થપથપાવતા સોશિયલ મીડિયામાં કેશાજીની ટિકિટ ફાઈનલના મેસેજ વાયરલ થયા છે.
દિયોદર ભાજપમાં આંતરિક વિખવાદનો મામલો
PMએ કેશાજીની પીઠ થપથપાવતા વાતાવરણ બદલાયું
સોશીયલ મીડિયામાં કેશાજીની ટિકિટ ફાઇનલના મેસેજ થયા વાયરલ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય નેતાઓ ઉપરાછાપરી ગુજરાતનો પ્રવાસ ગોઠવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને વસ્ત્રાલથી થલતેજ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત તેમણે નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણની પીઠ થપથપાવતા સોશિયલ મીડિયામાં કેશાજીની ટિકિટ ફાઈનલના મેસેજ વાયરલ થયા છે.
ચૂંટણી નજીક આવતા રાજકીય હલચલ શરૂ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે પીએમ મોદી અંબાજી પહોંચતા તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ચાલતા ચાલતા પૂર્વ મંત્રી કેશાજીની પીઠ થપથપાવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.
બનાસકાંઠામાં સ્વાગત વખતે PMએ કેશાજી ચૌહણની થપથપાવી પીઠ
આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેશાજી ચૌહાણની પીએમ મોદીએ પીઠ થપથપાવતા વિરોધીઓની ચિંતા વધી ગઈ છે. તો સોશિયલ મીડિયામાં પણ કેશાજીની ટિકિટ ફાઈનલના મેસેજ વાયરલ થયા છે.
દિયોદર બેઠક પર ભાજપના 24 જેટલા ઉમેદવારો થયા ઉભા
વાસ્તવમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ નેતાઓ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. દિયોદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ભાજપના 24 જેટલા દાવવેદારો ઉભા થયા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના 24 હોદ્દેદારોએ થોડા દિવસ અગાઉ મોવડી મંડળ સાથે મુલાકાત કરી હતી.
સી.આર પાટીલને દાવેદારોની યાદી સોંપી
બનાસકાંઠાના ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તેમજ જિલ્લાના આગેવાનોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી દિયોદર 14 વિધાનસભામાં ટિકિટના 24 દાવેદારોની યાદી સોંપી હતી. તેઓએ 24 હોદ્દેદારોમાંથી એકને જ વિધાનસભાની ટિકિટ આપવામાં આવે એવી રજૂઆત કરી હતી. આ 24 નામના લિસ્ટમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનું નામ બાકાત રહેતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા. તો આ લિસ્ટ વાયરલ થતાં દિયોદર ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે હવેગઈ કાલે PMએ કેશાજીની પીઠ થપથપાવતા વાતાવરણ બદલાયું છે. બનાસકાંઠામાં સ્વાગત વખતે PMએ કેશાજી ચૌહણની પીઠ થપથપાવતા વિરોધીઓની ચિંતા વધી છે.
કોણ છે કેશાજી ચૌહાણ?
કેશાજી ચૌહાણને જન્મ 1 જૂન 1962ના રોજ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં થયો હતો. તેમના બે પુત્ર અને એક પુત્રી છે. તેમણે કેશાજી ચૌહાણએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમણે 2012માં દિયોદર વિધાનસભા ભાજપમાંથી દાવેદારી કરી જીત્યા હતા. ત્યારબાદ તેમને મંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કોંગ્રેસના ઉમેદવાર શીવા ભુરિયા સામે હારી ગયા હતા.